Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

સોની બજારના લાખોના ઘરેણાની ઠગાઈના કેસમાં આરોપીના વચગાળાના જામીન રદ

રાજકોટ, તા. ૫ :. રાજકોટના સોની બજારના ચકચારી લાખો રૂપિયાના સોનાના ઘરેણાની છેતરપીંડી અને વિશ્વાસઘાત ગુનામાં આરોપી કીરીટ ફીચડીયાની ૩૦ દિવસ માટે જામીન ઉપર છૂટવાની અરજીને અદાલતે રદ કરી હતી.

આ કામે બનાવની ટૂંકી વિગત જોવામાં આવે તો ફરીયાદી મુજીબુલ ઉર્ફે મનજીત સુફુરઅલી મલીકે ભકિતનગર પો. સ્ટે.માં આરોપી કિરીટભાઈ પ્રભુદાસભાઈ ફીચડીયા વિરૂદ્ધ પોતાની સાથે પૂર્વયોજીત ગુન્હાહીત કાવતરૂ રચી આશરે ૧૩ લાખ રૂપિયાના સોનાના ઘરેણાની ઉચાપત કરી વિશ્વાસઘાત કરવા અંગેની ફરીયાદ આપેલી જેથી પોલીસે આરોપી વિરૂદ્ધ આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦ તથા ૧૨૦(બી) અન્વયે ગુન્હો દાખલ કરેલ અને બન્ને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા આરોપીના રીમાન્ડ મંજુર થયેલા.

ત્યાર બાદ આરોપીને ડીસ્ટ્રીકટ કોર્ટમાં ૩૦ દિવસ માટે જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકારી વકીલશ્રીની દલીલો તેમજ મૂળ ફરીયાદીના વકીલશ્રીએ વિસ્તૃત લેખીત વાંધાઓ રજુ કરેલ તથા ગુન્હાની ગંભીરતા વગેરે ધ્યાને લઈ આરોપી કીરીટ ફીચડીયાની ૩૦ દિવસ માટે માનવતાના ધોરણેની જામીન અરજી પણ રાજકોટના એડી. સેશન્સ જજ શ્રી કે.ડી. દવે મેડમે નામંજુર કરેલ છે.

આ કામમાં સરકારી વકીલ શ્રી સ્મીતાબેન અત્રી તથા મુળ ફરીયાદી વતી રાજકોટના વકીલ રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ બી. જાડેજા, ભરત સોમાણી, શિવરાજસિંહ ઝાલા, હનીફ કટારીયા તથા શકિત ગઢવી રોકાયેલ હતા.

(4:04 pm IST)