Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

બુધવારે રાજકોટમાં મુખ્‍યમંત્રી આર્શીવાદ સંમેલન

રાજકોટ બ્રાહ્મણ સમાજ દ્વારા રૈયા રોડ ખાતે આયોજન : પૂ. પરમાત્‍માનંદજી સરસ્‍વતી વિજયભાઈને ચાંદીની ભગવતગીતા અર્પણ કરશે : પૂ.ઘનશ્‍યામજી મહારાજ સભા સંબોધશે

રાજકોટ, તા. ૪ : રાજકોટ બ્રાહ્મણ સમાજ દ્વારા મુખ્‍યપ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીના સમર્થનમાં રાજકોટમાં રહેતા અને ભાજપની વિચારધારાને સમર્પિત એવા વિવિધ તડગોળના બ્રાહ્મણ સમાજનું એક વિશાળ મુખ્‍યમંત્રી આર્શીવાદ સંમેલન તા.૬ના બુધવારે સાંજે ૭ વાગ્‍યે રૈયા રોડ, પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ પાસે, વિક્રમ માર્બલની સામે આયોજન કરવામાં આવેલ છે. આ સંમેલનમાં અધ્‍યક્ષસ્‍થાને પૂ.આચાર્યશ્રી ઘનશ્‍યામજી મહારાજ (ભુવનેશ્વરી પીઠ, ગોંડલ) અને ઉદ્દઘાટક તરીકે પૂ. પરમાત્‍માનંદ સરસ્‍વતીજી (રાષ્‍ટ્રીય મહામંત્રી, અખિલ ભારતીય આચાર્ય સભા અને અધ્‍યક્ષશ્રી, આર્ષ વિદ્યામંદિર, મુંજકા, રાજકોટ) ઉપસ્‍થિત રહેશે. રૂપાણીને આર્શીવચન પાઠવશે. યોગાનુયોગ આ છઠ્ઠી ડિસેમ્‍બર બાબરી ધ્‍વંશને ૨૫ વર્ષ પૂરા થશે.

‘‘આર્શીવાદ સંમેલન''માં પૂ.પરમાત્‍માનંદ સરસ્‍વતીજી ચાંદીની ભગવદ્દગીતા વિજયભાઈ રૂપાણીને પ્રસાદરૂપે આપશે. પૂ.ઘનશ્‍યામજી મહારાજ ગૌરક્ષક તરીકે અભિવાદન કરશે.

પારંપારિક વેશભૂષામાં ૧૫૧ ઋષિકુમારો વૈદિક ઋચાઓના ગાન સાથે મુખ્‍યમંત્રીશ્રીને આર્ર્શીવાદ આપશે અને પૂજન કરાયેલા ૧૫૧ કમળ વિજયના પ્રતિકરૂપે અપાશે.

આર્શીવાદ સંમેલનને સફળ બનાવવા ઓમ માનવ કલ્‍યાણ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને સમગ્ર બ્રાહ્મણ સમાજ પરિશ્રમ કરી રહ્યા છે. વધુ વિગતો માટે મો. ૯૪૨૯૨ ૪૪૯૯૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તસ્‍વીરમાં સર્વેશ્રી રામભાઈ મોકરીયા (મારૂતિ કુરીયર, ચેરમેન), ડો. એન. ડી. શીલ્લુ, અતુલભાઈ પંડિત, તેજસ ત્રિવેદી, મધુકરભાઈ ખીરા, પ્રવિણભાઈ જોષી, પંકજભાઈ રાવલ, નલીનભાઈ જોષી, જયેશભાઈ જાની, પરાગભાઈ મહેતા, ડો. જયેશભાઈ રાજયગુરૂ, મહેશભાઈ જોષી, જગદીશભાઈ ત્રિવેદી, કિરીટભાઈ પાઠક અને જર્નાદનભાઈ આચાર્ય નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

 

(5:38 pm IST)