Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

નવજાત પુત્રની ખોડખાપણ જોઇ ન શકતાં પીપલાણામાં કોળી પરિણીતાનો આપઘાત

જન્મથી જ પુત્રને પગ ટૂંકા હતાં: તે વધે તેમ નહિ હોવાનું નિદાન થતાં માતા વસંતબેન ચિંતામાં ગરક થઇ ગઇ'તીઃ સળગીને જિંદગી ટૂંકાવી લીધી સાડા ત્રણ માસનો પુત્ર મા વિહોણો થતાં પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૪: કોટડા સાંગાણીના પીપલાણા ગામે કોળી પરિણીતા વસંતબેન મહેશભાઇ કુકડીયા (ઉ.૨૫)એ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતાં ૩ાા માસનો પુત્ર મા વિહોણો થઇ ગયો છે.

વસંતબેને સાંજે ચારેક વાગ્યે ઘરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ રાત્રીના દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહ ચોૈહાણે કાગળો કરી કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર વસંતબેનના માવતર ત્રંબાના વડાળી ગામે રહે છે. તેના પિતાનું નામ ગોરધનભાઇ નાથાભાઇ સોલંકી છે.

વસંતબેનના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતાં. તેણીએ સાડા ત્રણ માસ પહેલા જ દિકરાને જન્મ આપ્યો હતો. પરંતુ આ બાળકને જન્મથી જ પગ ટૂંકા હતાં. હવે નિદાન-સારવાર થતાં પગ વધી શકે તેમ નહિ હોવાનું તબિબોએ જણાવ્યું હતું. નવજાત દિકરાની ખોડખાપણ જોઇ ન શકતાં માતા વસંતબેન ચિંતામાં ગરક થઇ ગઇ હતી. આ કારણે તેણીએ આત્મહત્યા કરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

(3:11 pm IST)