Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

યુનિવર્સિટીના હોમિયોપેથીના નકલી માર્કશીટ કોૈભાંડમાં ડો. વહાબમિંયા કાદરીની ધરપકડઃ પાંચ દિ'ના રિમાન્ડ

ગયા વર્ષે ૪૧ વિદ્યાર્થીઓ, ડીન, પ્રિન્સીપાલ સહિતના સામે ગુનો નોંધાયો હતોઃ ખંભાળીયાના ડો. કાદરીએ પોતાના બે પુત્રોને પણ એડમિશન અપાવ્યા'તાઃ રાજકોટ એસઓજીએ પકડ્યોઃ વિશેષ વિગતો ઓકાવવા પુછતાછ

રાજકોટ તા.૪: સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત હોમિયોપેથી કોલેજના બોગસ માર્કશીટના આધારે એડમિશન મેળવવાના કોૈભાંડમાં ગયા વર્ષે એપ્રિલ માસમાં ૪૦ છાત્રો, ડીન, પ્રિન્સીપાલ, ખંભાળીયાના ડોકટર સહિતના સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ એસઓજી પાસે હોઇ ગુનામાં ફરાર દેવભુમિદ્વારકા તાબેના જામખંભાળીયાના ડો. વહાબમિંયા સિદ્દીકમિંયા કાદરી (ઉ.૪૯)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં પાંચ દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

જે તે વખતે પોલીસે ડો. પાઠકની ફરિયાદ પરથી આઇપીસી ૪૬૩, ૪૬૪, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૨૦, ૧૨૦-બી, ૪૦૯, આઇટી એકટની કલમ ૬૬-ડી હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કોૈભાંડમાં ૪૧ વિદ્યાર્થીઓ, તેમજ બી.એ. ડાંગર બી.જી. ગરૈયા હોમિયોપેથી કોલેજ અને અમરેલીની વસંતબેન વ્યાસ કોલેજના પ્રિન્સીપાલો,  તેમજ હોમિયોપેથી ફેકલ્ટીના ડીન ડો. અમિતાભ જોષી અને ખંભાળીયાના ડો. કાદરીના આરોપી તરીકે નામ અપાયા હતાં. જે તે વખતે તપાસમાં ખુલ્યું હતું કે ડો. કાદરીએ સાડા ત્રણ લાખ રૂપિયામાં છાત્રોને નકલી માર્કશીટ વેંચી હતી.

બીજા વર્ષમાં પ્રવેશ મેળવવા માટે ૪૧ વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ અપાઇ હતી. જેમાં હઝારીબાગની વિનોબાભાવે યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ દિલ્હી, બિહારની બી.આર. આંબેડકર યુનિવર્સિટીના નામની નકલી માર્કશીટ બનાવાઇ હતી. પૂર્વ ડીને જે તે વખતે છાત્રો પાસેથી ડોનેશન પેટે રૂ. સાડા ત્રણ લાખ અને ડબલ ફીની વસુલાત કર્યાની વિગતો પણ જે તે વખતે બહાર આવી હતી. હવે જેની ધરપકડ થઇ છે તે ડો. કાદરીએ પણ પોતાના એક દિકરાનું બોગસ માર્કશીટને આધારે એડમિશન લેવડાવ્યું હતું.

ડો. કાદરી ખંભાળીયામાં વીસ વર્ષથી કલીનીકમાં પ્રેકટીસ કરે છે. તેની ડોકટરીની ડિગ્રી પોલીસે માંગતા તેણે ઝેરોક્ષ કોપી રજૂ કરી છે. અસલી ડીગ્રી મંગાવાઇ છે. જો આમા પણ ગોલમાલ જણાશે તો અલગથી ગુનો દાખલ થાય તેવી શકયતા છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં પી.આઇ. આર.વાય. રાવલ, પીએસઆઇ એચ.એમ. રાણા, હેડકોન્સ. આર. કે. જાડેજા, મોહિતસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાણા, મનરૂપગીરી ગોસ્વામી, રાજેશભાઇ ગીડા, કોન્સ. ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ચુડાસમા, બ્રિજરાજસિંહ ઝાલા, નરેન્દ્રભાઇ ગઢવી, જયંતિગીરી ગોસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા અને હિતેષભાઇ પરમાર વધુ તપાસ કરે છે.

(3:31 pm IST)