Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

નિવૃત ફોૈજી કેન્સરથી કંટાળ્યા...લમણે ગોળી ધરબી જિંદગીથી છેડો ફાડ્યો

ઢેબર રોડ ગીતાનગરમાં બનાવઃ પરિવારજનો સાથે જમ્યા બાદ વનમાળીદાસ દેસાણી (ઉ.૬૫)એ રૂમમાં જઇ લાયસન્સવાળી ગનથી ભડાકો કર્યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૪: ઢેબર રોડ પર ગીતાનગર શેરી નં. ૩-એમાં રહેતાં નિવૃત આર્મીમેન વનમાળીદાસ રણછોડદાસ દેસાણી (બાવાજી) (ઉ.૬૫)એ સાંજે પોતાના બેડરૂમમાં પોતાની લાયસન્સવાળી ગનથી લમણામાં ભડાકો કરી જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી ભાવેશભાઇ વાઢેર મારફત થતાં ભકિતનગરના એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેશા (ખારવા) તથા રામદેવસિંહે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસમાં ખુલ્યા મુજબ વનમાળીદાસ વિનૃત આર્મીમેન હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. વનમાળીદાસને ગલામાં કેન્સર થયું હોઇ તેનાથી કંટાળી ગયા હતાં. છેલ્લે બરાબર ભોજન પણ લઇ શકતા નહોતાં. ગઇકાલે બપોરે પરિવારજનો સાથે જમ્યા હતાં બાદમાં પોતાના રૂમમાં જતાં રહ્યા હતાં. સાંજે અચાનક ધડાકો સંભળાતા સ્વજનો દોડી જતાં વનમાળીદાસે પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરીંગ કરી આપઘાત કરી લીધાની ખબર પડી હતી. બનાવથી પરિવામાં શોક છવાઇ ગયો હતો.

(3:27 pm IST)