Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

સતાધાર સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલા ત્રણ ટુવ્‍હીલર સળગાવાયા

અયલેશભાઇ વસાવડાની ફરીયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો

રાજકોટ, તા. ૩ : રૈયાધાર નાણાવટી ચોક પાસે સતાધાર સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલા ત્રણ ટુવ્‍હીલર કોઇ અજાણ્‍યા શખ્‍સોએ સળગાવતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ નાણાવટી ચોક પાસે સતાધાર સોસાયટી શેરી નં. ૩માં રહેતા અયલેશભાઇ હર્ષદભાઇ વસાવડા (ઉ.વ.૪૮) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યુ છે કે, પોતે અહીં છેલ્લા સાતેક મહિનાથી પોતાના માસીના ઘરે રહે છે. અને ઠાકરશી ચા માં માર્કેટીંગનું કામ કરે છે. ગઇકાલે રાત્રે પોતે ઘરમાં સૂતા હતા ત્‍યારે આશરે અઢી વાગ્‍યાની આસપાસ માસીનો દિકરો પીનાકીન રાવલ પોતાની પાસે આવેલ અને કહેલ કે તમે જલ્‍દી નીચે આવો ગાડી સળેગે છે. તેમ વાત કરતા પોતે તુરત જ નીચે ગયા અને જોયુ તો મકાનની બહાર પોતાનું જી.જે. ૪ ડી એક-૩ર૩૭ નંબરનું બાઇક તથા પોતાના ધર્મના બહેન પુર્વશીબેન પારેખનું જી.જે. ૩ એલ કયુ-૪૪ર૯ નંબરનું એકટીવા અને માસીના દીકરા આશીષ રાવલનું જીજે -૩ કે.જે. -૪૭૬૪ નંબરનું જયુપીટર મોટર સાયકલ સળગતા જોઇને તાકીદે ફાયર બ્રિગેડમાં જાણ કરતા ફાયર બ્રિગેડ સ્‍ટાફ સ્‍થળ પર પહોંચી આગ બુઝાવી હતી.  આ ત્રણેય  ટુ વ્‍હીલર સંપૂર્ણ પણે સળગી ગયા હતા આગમાં અંદાજે ૧,ર૦,૦૦૦ નું નુકશાન થયું હોવાનું જાણવા મળ્‍યું છે. આથી કોઇ અજાણ્‍યા શખ્‍સે આ ત્રણેય ટુવ્‍હીલર સળગાવવાની શંકા પરથી યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ. બી.આર. ભરવાડે તપાસ હાથ ધરી છે.

(4:09 pm IST)