Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

રાજકોટ જેલમાં કેદીઓએ લલકાર્યા દુહા-ભજનોઃ ત્રિમાસિક મીટીંગમાં ૨૪ પાકા કેદીઓને જેલમુકત કરવાના કેસની ચર્ચા

જેલ અધિક્ષક બન્નો જોશીનું સફળ આયોજનઃ ડિસ્ટ્રીકટ અને સેસન્સ જજ, રૂરલ એસપી, ડીસીપી ઝોન-૨ની ઉપસ્થિતીઃ બંદિવાનોના પ્રશ્નોનું નિરાકરણ કરાયું: દિવાળી પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી

રાજકોટઃ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજકોટના અધ્યક્ષ સ્થાને જેલ સલાહકાર સમિતિની ત્રિમાસિક સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હોઇ તેમાં ખૂંખાર કેદીઓએ ભજન-દૂહા-છંદની રમઝટ બોલાવી હતી. સજા ભોગવી રહેલા પાકા કામના એવા ૨૪ કેદીઓ કે જેના ૧૪ વર્ષ પુરા થયા હોઇ તેને જેલમુકત કરવાના હોઇ તેના કેસની ખાસ ચર્ચા આ સમિતીમાં થઇ હતી. આ બેઠકમાં ડિસ્ટ્રીક અને સેસન્સ જજશ્રી ઉત્કર્ષ દેસાઇ, પોલીસ અધિક્ષક(રાજકોટ ગ્રામ્ય)શ્રી બલરામ મીણા , નાયબ પોલીસ કમિશનર રાજકોટ ઝોન-૦ર શ્રી મનોહરસિંહ જાડેજા, સમાજ કલ્યાણ અધિકારીશ્રી શર્મા તેમજ સામાજીક કાર્યકરો હાજર રહ્યા હતાં. જેલ સલાહકાર સમિતિના સભ્યો દ્વારા જેલ વિઝીટ કરવામાં આવેલ અને જેલ વિઝીટ દરમિયાન બંદિવાનોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. સમિતિની મીટીંગ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમા બંદિવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. તેમજ કાર્યક્રમને અનુરૂપ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, રૂરલ એસપીશ્રી બલરામ મીણા દ્વારા પ્રાસંગિક સંબોધન કરવામાં આવ્યું હતું.  જેલ અધિક્ષક સુશ્રી બન્નો જોષી દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને સફળ બનાવાયો હતો. જેલના અધિકારી/કર્મચારી તથા બંદિવાનોનો આભાર વ્યકત કરી તથા બંદિવાનોને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.

(1:13 pm IST)