Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

શહેરમાં ડેન્‍ગ્‍યુ - મેલેરિયાના ૨૦ કેસ

મચ્‍છરોની નવા વર્ષે પણ તડાફડી : છેલ્લા સપ્‍તાહમાં શરદી - ઉધરસ, સામાન્‍ય તાવ, ઝાડા-ઉલ્‍ટીના ૧૫૯ દર્દીઓ મનપા તંત્રના ચોપડે નોંધાયા : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૯૯ને નોટીસ:શહેરમાં મચ્‍છરજન્‍ય રોગચાળો અટકાવવા મનપાના મેલેરિયા વિભાગ દ્વારા વિવિધ વિસ્‍તારોમાં દવા છંટકાવ, ફોંગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

રાજકોટ તા. ૧: તહેવારોમાં મચ્‍છરો પણ મનમુકીને ઝુમતા હોય તેવું લાગી રહ્યું છે. સતત પાંચમાં અઠવાડિયે ડેન્‍ગ્‍યુ, મેલેરીયાના દોઢ ડઝનથી વધુ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ મચ્‍યો છે. જ્‍યારે શરદી, તાવ, ઉધરસ, ઝાડા - ઉલ્‍ટીના ૧૫૪ કેસ નોંધાયા છે. આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૨૪ થી ૩૦ ઓકટોબર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છજન્‍ય રોગચાળાના ૨૦ કેસ

અઠવાડિયામાં મેલેરિયાના ૧, ડેન્‍ગ્‍યુના ૧૯ કેસ નોંધાયા છે. જયારે સીઝનમાં  મેલેરિયાના ૪૪, ડેન્‍ગ્‍યુના -૧૮૨ તથા ચિકનગુનિયાના ૧૯ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૧૫૦ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૦૮ તેમજ સામાન્‍ય તાવના ૧૬ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૩૫ સહિત કુલ ૧૫૯ દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ

સબબ ૧૯૯ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનિષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૮,૫૧૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૦૭૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૧૯૯ લોકોને નોટીસ પાઠવી છે.

(3:55 pm IST)