Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

આર્યનગરમાં જુના મનદુઃખમાં છરી-પાઇપ-તલવાર ઉડ્યાઃ વિજય અને ચિરાગ ઘવાયા

લુહાર યુવાન ચિરાગને બાવાજી યુવાન વિજયના મિત્ર ધવલ મોચી સાથે માથાકુટ ચાલતી હોઇ સમાધાન બાબતે ડખ્ખોઃ સામસામી ફરિયાદ

રાજકોટ તા. ૧: સામા કાંઠે આર્યનગરમાં રાત્રે લુહાર અને બાવાજી યુવાનના જૂથ વચ્ચે મારામારી થતાં એક બીજા પર તલવાર, પાઇપ, છરીથી હુમલો કરવામાં આવતાં બે જણા ઘવાયા હતાં.

આર્યનગર-૧માં રહેતો અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો વિજયગીરી ભવાનગીરી ગોસ્વામી (ઉ.૩૦) રાત્રે સાડા બારેક વાગ્યે ઘર પાસે હતો ત્યારે ચિરાગ લુહાર, સાગર, જયદિપ અને બે અજાણ્યાએ આવી તલવારથી હુમલો કરી ખભા અને માથા પર ઇજા કરતાં સિવિલમાં દાખલ થયો હતો.

સામા પક્ષે આર્યનગર ગોવિંદબાગ શાક માર્કેટ પાસે રહેતો ચિરાગ લાલજીભાઇ પિત્રોડા (લુહાર) (ઉ.૧૯) પણ પોતાના પર વિજય, ઉમેશ નિતીનભાઇ રામપરા (કુંભાર) તથા સચીન નિતીનભાઇએ છરી-પાઇપથી હુમલો કર્યાની રાવ સાથે સિવિલમાં દાખલ થતાં બંને બનાવમાં ચોકીના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમારે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

ચિરાગના કહેવા મુજબ તેણે એક વર્ષ પહેલા ઝઘડો થતાં વિજય બાવાજીના મિત્ર  ધવલ મોચીને છરી ઝીંકી હતી. આ કારણે પોતે ત્રેપન દિવસ બાળ અદાલતમાં રહ્યો હતો. આ બનાવમાં સમાધાન કરવા બાબતે માથાકુટ થતાં હુમલો થયો હતો.

સામે વિજયએ કહ્યું હતું કે ધવલ પોતાનો મિત્ર છે. પોતે ધવલને સમાધાનની ના પાડતો હોવાની ચિરાગને શંકા હોઇ તેના કારણે હુમલો થયો હતો.

(3:59 pm IST)