News of Thursday, 1st February 2018
રાજકોટ તા. ૧ :.. વિજ્ઞાન જાથાના જયંત પંડયા ત્થા વિજ્ઞાન જાથા તેની મર્યાદામાં રહે તે સૌના હિતમાં છે. જયોતિષ શાસ્ત્ર એ પ્રાચીન વિજ્ઞાન છે તેવુ કેન્દ્ર સરકારે મુંબઇ હાઇકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં સ્પષ્ટ કહ્યું ત્યારે મારે જયોતિષીઓ વિશે બોલવામાં તેઓ મર્યાદા રાખે તથા આદીકાળથી ધાર્મિકવીધીઓ ઋષિમુનિઓ ત્થા સમસ્ત હિન્દુ સમાજની પરંપરા રહી છે જેથી ધાર્મિક આસ્થાને પણ છંછેડવાનું મૂકીને વિજ્ઞાન જાથાએ કરવાના થતા કામો જ તેમણે કરવા જોઇએ. તેમ બ્રહ્મસમાજ અગ્રણી જીતુ મહેતાએ સ્પષ્ટ જણાવ્યું છે.
શ્રી મહેતાના જણાવ્યા મુજબ જામનગર ની ઘટના ત્થા તાજેતરમાં એક અખબારમાં જયંત પંડયાએ એવુ નિવેદન કર્યુ છે કે ભારતમાં ગ્રહો કે ગ્રહણો નડતા નથી જયોતિષીઓ નડે છે. આ વાતે બ્રહ્મસમાજ ત્થા જયોતિષવિદોમાં ભારે નારાજગી ફેલાવી છે.
હિન્દુ સમાજમાં મુખ્યત્વે દરેક જ્ઞાતિમાં ભૂવાઓ પણ સ્થાપિત થયેલા હોય છે ત્યારે જે તે સમાજ પણ માતાજીના કે દેવી -દેવતાઓના સ્થાપિત થયેલા ભૂવાઓમાં આસ્થા ધરાવતા હોય છે. ત્યારે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો હકક વિજ્ઞાન જાથા કે જયંત પંડયાને નથી.
અકિલા સાથેની વાતચીતમાં બ્રહ્મસમાજના સૌરાષ્ટ્રના આગેવાન જીતુભાઇ મહેતાએ જણાવ્યુ છે કે ચમત્કાર કે અન્ય ધતીંગો કરનારાઓ ઉપર કોઇપણ જાતના અધિકાર કે પાવર ન હોવા છતાં ચોકકસ મલીન ઇરાદાઓ સાથે વિજ્ઞાન જાથા પોતાના મલીન ઇરાદાઓ પાર પાડવા કામગીરી કરતા હતા ત્યાં સુધી કોઇ વિરોધ કરતુ ન હતું. પરંતુ વિપ્ર સમાજ જયોતિષ શાસ્ત્ર ત્થા ધાર્મિક આસ્થાને છંછેડવાના પ્રયત્નો કોઇ સાંખી જ ના શકે.
ગઇકાલની ઘટના પણ કોઇ ચોક્કસ લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોચતા બની હોય તેવુ માની શકાય પરંતુ જયંત પંડયાએ ચોકકસ વર્ગ ત્થા સમાજની ધાર્મિક કામગીરી, આદીકાળથી થતી આવતી ધાર્મિક કર્મકાંડની વિધીને મારી મચડીને રજૂ કરવાના ખોટા પ્રયાસો શ્રી પંડયા છોડી દે તે સામાજીક શાંતીનાં હીતમાં છે તેમ શ્રી મહેતાએ જણાવ્યું હતું.
તેમણે જામનગરની ઘટનામાં પણ ચોકકસ ઇરાદાઓ હોવાની શંકા દર્શાવીને પોલીસ તંત્ર તટસ્થ તપાસ કરે તેવી પણ વિનંતી કરી છે.
બ્રહ્મસમાજના અગ્રણી શ્રી જીતુ મહેતાના જણાવ્યા મુજબ વિજ્ઞાન જાથાએ અગાઉ પણ કરેલ શંકાસ્પદ કામગીરીની તપાસ થાય તો ઘણા ભેદભરમ ખૂલી શકે તેમ હોવાની શંકા પણ વ્યકત કરી હતી.