Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

વિશ્વ કિડની દિન નિમિત્તે 14 માર્ચ રવિવારના રોજ વેબિનાર : જોય એકેડેમી યુ.એસ.એ.આયોજિત વેબિનારમાં કિડનીની બીમારીના કારણો તથા તેની અદ્યતન સારવાર અંગે કિડની રોગ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની પેનલ માર્ગદર્શન આપશે : આપને મૂંઝવતા કિડનીની બીમારીના પ્રશ્નોનો ગુજરાતીમાં જવાબ અપાશે

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : વિશ્વમાં કિડનીની બીમારીઓ ચિંતાજનક રીતે વધી રહી છે.તેથી વિશ્વ કિડની દિન નિમિત્તે 14 માર્ચ રવિવારના રોજ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

જોય એકેડેમી યુ.એસ.એ.આયોજિત આ વેબિનારમાં કિડનીની બીમારીના કારણો તથા તેની અદ્યતન સારવાર અંગે કિડની રોગ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની પેનલ માર્ગદર્શન આપશે .તેમજ કિડની ફેઇલ્યોર ,ડાયાલીસીસ ,કિડની ટ્રાન્સપ્લાન્ટ ,તથા અંગદાન વિષે આપને મૂંઝવતા પ્રશ્નોનું ગુજરાતી ભાષામાં વિગતવાર નિરાકરણ  અમેરિકાના અને ભારતના કિડની નિષ્ણાતો દ્વારા આપવામાં આવશે.આપને મૂંઝવતા પ્રશ્નો વ્હોટ્સ એપ નંબર 91 94269 18604 ઉપર મોકલી શકો છો.અથવા વેબિનાર વખતે પણ પૂછી શકો છો.

કિડની રોગ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની પેનલમાં મુખ્ય મહેમાન તરીકે સીનીઅર યુરોલોજિસ્ટ યુ.એસ.એ.ડો.નિપમ શ્રોફ હાજરી આપશે.ઉપરાંત ડો.પ્રદીપ કણસાગરા યુરોલોજિસ્ટ યુ.એસ.એ. ,ડો.વિવેક જોશી યુરોલોજિસ્ટ રાજકોટ , ડો.હરેશ ઠુમ્મર યુરોલોજિસ્ટ વડોદરા ,તથા ડો.દિવ્યેશ વિરોજા નેફોલોજિસ્ટ રાજકોટ હાજર રહી માર્ગદર્શન આપશે તથા પ્રશ્નોના જવાબો આપશે.

ઝૂમ મિટિંગમાં જોડાવા  માટે નવો મિટિંગ આઈ.ડી.તથા પાસવર્ડ નાખવો .જે નીચે મુજબ છે.
મિટિંગ આઈ.ડી. : 868 3281 9677 તથા પાસવર્ડ : WKD2021
રાખવામાં આવ્યો છે.

વેબિનારમાં જોડાવા માટે જોય એકેડેમીના યુ ટ્યુબ અને ફેસબુક પેજ ઉપર સબસ્ક્રાઇબ તથા લાઇકનો ઉપયોગ કરવો.

14 માર્ચ 2021 રવિવારના રોજ આયોજિત વેબિનારનો સમય ભારતમાં 9 : 00 pm / USA EST 11: 30 an / PST  8 : 30 am / Dubai 7 : 30 pm / Kenya 6:30 pm /Malawi 5 : 30 pm /તથા  London 3 : 30 pm રહેશે.

વેબિનારના આયોજકો તરીકે શ્રી બી.યુ.પટેલ ,શ્રી ભાસ્કર સુરેજા ,ડો.ભાણજી કુંડારીયા ,સુશ્રી નેન્સી ( નયના ) પટેલ ,શ્રી ચતુર સભાયા ,ડો.સી.ડી.લાડાણી ,શ્રી રમણ રામા ,શ્રી ભીમા મોઢવાડીયા ,શ્રી કાંતિ ઘેટીયા ,શ્રી પંકજ સુતરીયા ,શ્રી દિલીપ વાછાણી ,તથા શ્રી દર્શન કણસાગરાનો સમાવેશ થાય છે.
આ તકે વિશ્વ કિડની દિન નિમિત્તે કિડનીની બીમારીઓ માટે જાગૃત થવું જરૂરી વિષયક ડો.પ્રદીપ કનસાગરનો લેખ અત્રે પ્રસ્તુત છે.

વિશ્વ કિડની દિને કિડનીની બિમારીઓ માટે જાગૃત થવું જરૂરી : ' કિડનીની બીમારી સાથે સારી રીતે જીવવું '  ધ્યેય સાથે આ બીમારીથી બચવાના સોનેરી સૂચનો : ડો.પ્રદિપ કણસાગરાની કલમે
 
દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : વિજ્ઞાનની પ્રગતિથી આપણું જીવન આરામદાયક અને સુખ સગવડતાઓવાળું જરૂર થયું છે.પરંતુ આપણા કમનસીબે લાઈફ સ્ટાઇલ બદલવાથી અમુક બીમારીઓ જેવી કે ડાયાબિટીસ ,હાઈ બ્લડ પ્રેસર ,ઓબેસિટી ,વગેરેનું પ્રમાણ વધ્યું છે.આ બીમારીઓથી હ્રદયરોગ તથા કિડની ફેઇલ્યોર પણ વધી રહ્યા છે.

રાજકોટની આપણી સેવાકીય બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં  રાજકોટમાં 2004 માં 8000 ડાયાલીસીસ થયા હતા.અને વર્ષ 2020 માં 30000 થયા છે.તે બતાવે છે કે બીમારીનો વ્યાપ કેટલો વધી રહ્યો છે.ખુશીની વાત એ છે કે આ બીમારીને આપણે અટકાવી શકીએ છીએ.

દર વર્ષે વિશ્વ કિડની દિવસ જુદા જુદા ધ્યેય  સાથે માર્ચ મહિનાના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે.આ વર્ષે 11 માર્ચ 2021 ગુરુવારના રોજ ' કિડનીની બીમારી સાથે સારી રીતે જીવવું ' એ ધ્યેય નક્કી કરવામાં આવેલ છે.લોકોમાં જનજાગૃતિ લાવવા ,કિડની બચાવવા સમજણ આપવા ,અને દર્દીઓને વહેલા નિદાન માટે પ્રોત્સાહિત  કરવા જુદી જુદી સંસ્થાઓ દ્વારા વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવે છે.

કિડની શરીરનું મહત્વનું અંગ છે.છેલ્લા થોડા વર્ષોથી કિડની રોગનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે.કિડની જયારે ફેઈલ થાય ત્યારે દર્દીઓને કાયમી ડાયાલીસીસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી અત્યંત ખર્ચાળ સારવાર કરાવવી પડે છે.

 

એક અંદાજ મુજબ ભારતમાં એક કરોડ લોકો કિડનીની બીમારીથી પીડાતા હશે.જેની સારવાર લોકોની પહોંચ બહારની  હોય છે.તેથી કિડનીની બીમારીઓ અટકાવવી એજ સરળ ઉપાય છે.અને તે માટે જનજાગૃતિ જરૂરી છે.

કિડની રોગના દર્દીને સામાન્ય રીતે ખબર પડે ત્યારે 90 ટકા કિડની ખરાબ થઇ ગઈ  હોય છે.તેથી કિડની રોગના જોખમવાળા લોકોએ કિડનીની તપાસ નિયમિત કરાવવી જોઈએ.

કિડનીની બીમારીના મુખ્ય લક્ષણો અને કારણો :
નબળાઈ લાગે ,પેશાબના પ્રમાણમાં વધારો ઘટાડો થાય ,આંખ અને મોઢા ઉપર સોજા આવે ,હાંફ ચડે ,ઉલ્ટી -ઉબકા થાય ,શ્વાસમાં ખરાબ વાસ આવે.

મુખ્ય કારણો :

લોહીનું ઊંચું દબાણ ,ડાયાબિટીસ ,તથા મેદસ્વીતા અને પથરીની બીમારી વગેરે છે.

કિડનીની બીમારીથી બચવાના સોનેરી સૂચનો :
(1)  પ્રવાહી વધારે પીવું .દરરોજ આશરે બે લીટર પેશાબ થાય તેટલું પ્રવાહી પીવું.જેમણે તડકામાં કે ગરમીમાં કામ કરવું પડે છે તેમણે વધારે પાણી પીવું.કિડનીની મેડિકલ બીમારી હોય તેવા દર્દીઓએ નેફ્રોલોજીસ્ટ ડોક્ટરની સલાહ મુજબ પ્રવાહી પીવું.

( 2 ) દુખાવા કે એસીડીટી માટે બિનજરૂરી દવાઓ ડોક્ટરની સલાહ સિવાય ન લેવી .

( 3 ) ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેસરની બીમારી ડોક્ટરની સલાહથી નિયંત્રણમાં રાખો.નિયમિત કસરત ,વિવેકબુદ્ધિ પૂર્વક પૌષ્ટિક આહાર ,જરૂરી ઊંઘ ,અને યોગથી ડાયાબિટીસ તેમજ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે.

( 4 ) દિવસ દરમિયાન સતત સક્રિય રહી ખોરાકની પરેજીથી વજન નિયંત્રણમાં રાખવું જોઈએ.

( 5 ) કિડનીની પથરી કે બીજી બીમારીની સમયસર સારવાર કરાવવાથી જીવલેણ બીમારીથી બચી શકાય છે.

( 7 ) જો પેટમાં અવારનવાર દુખાવો થતો હોય તો એક્સ-રે કે સોનોગ્રાફી કરાવી નિદાન કરાવવું ,પરંતુ દુખાવાની દવાઓ વારંવાર ન લેવી .

( 8 ) જો કુટુંબમાં કોઈને કિડનીની બીમારી થઇ હોય તો કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સમયસર સલાહ લેવી.

( 9 )  ધુમ્રપાન કે બીજા વ્યસનો છોડવા જોઈએ.અને ખરેખર તો કસરત અને યોગનું વ્યસન કરવું હિતાવહ છે.

આપના પરિવારના સભ્યો કે મિત્રમંડળમાં કિડનીની બીમારીઓ વિષે સમજણ આપી તેમને સમયસર કિડનીની બીમારીથી બચવા માહિતગાર કરવા વિનંતી.

આપણે  સહુ સમયસર સાવચેત થઇ આપણી કીડનીઓ બચાવીએ અને સમાજમાં જનજાગૃતિ લાવીએ તેવી નમ્ર વિનંતી.આપને જરૂર જણાય તો ગુજરાતી સરળ ભાષામાં મારી બુક વિનામૂલ્યે મેળવી શકો છો.

ડો.પ્રદિપ કણસાગરા
યુરોલોજિસ્ટ ( યુ.એસ.એ. )
સ્થાપક મેનેજીંગ ટ્રસ્ટી
સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ
રાજકોટ.
પૂર્વ માનદ યુરોલોજિસ્ટ
સિવિલ હોસ્પિટલ ,રાજકોટ.

(8:59 pm IST)