ન્યુયોર્કઃ યુ.એસ.માં ઇન્ડો અમેરિકન આર્ટસ કાઉન્સીલ ઇન્ક (IAAC)ના ઉપક્રમે ૩૦ જુલાઇ ૨૦૧૮ના રોજ ન્યુયોર્ક મુકામે ઇન્ડિયન કોન્સ્યુલેટ ખાતે કિક ઓફ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં આર્ટસ,મિડીયા,તથા ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટીના ૧૬૦ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. જે તમામનું કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તીએ સ્વાગત કર્યુ હતું.
IAAC બોર્ડના નવા ચેરમેન તરીકે ૧ જુલાઇ ૨૦૧૮ થી ડો.નિર્મલ મેટ્ટની નિમણુંક થઇ છે. તથા બોર્ડ દ્વારા કરાયેલા મૂલ્યાંકન મુજબ તેઓ આર્ટ, આર્ટિસ્ટસ, એજ્યુકેટર, ફીલોન્થ્રોફીસ્ટ, હયુમેનીટેરીઅન ડોકટર,તથા સફળ વ્યવસાયીના નાતે ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટીને ઉમદા નેતૃત્વ પુરૂ પાડશે. તેવી કિક ઓફ પ્રોગ્રામ વખતે ઘોષણાં કરાઇ હતી. તથા IAACને આજીવન સમર્થન આપનાર સુશ્રી અરૂણ શિવદાસાનીએ નિવૃતિ જાહેર કરતા તેમની સેવાઓને બિરદાવાઇ હતી. બોર્ડના નવનિયુક્ત ચેરમેન શ્રી ડો.નિર્મલ મેટ્ટુએ બોર્ડ વતી તેમની સેવાઓની નોંધ લઇ તેઓને બિરદાવ્યા હતા. તથા તેમના નેતૃત્વ હેઠળ યોજાઇ ગયેલા વીક લોન્ગ ફિલ્મ ફેસ્ટીવલ્સ,બુક ફેસ્ટીવલ્સ, ડાન્સ તથા મ્યુઝીક ફેસ્ટીવલ્સ, સહિતના પ્રોગ્રામો બદલ ગૌરવ વ્યક્ત કર્યુ હતું.
સુશ્રી અરૂણ શિવદાસાનીએ IAACને મળેલા ડો.નિર્મલના નેતૃત્વ બદલ ખુશી વ્યક્ત કરી હતી. તથા તેમના કાર્યકાળ દરમિયાન સાથ આપનાર ટીમ મેમ્બર્સ શ્રી અસીમ છાબરા, શ્રી રમણીક કાંગ, શ્રી નિલી લાખાણી, શ્રી રોહન ગુપ્તા, શ્રી મોન્ટી કટારીઆ, શ્રી અભિ ચિન્તાકુન્ટા, શ્રી સુમન ગોલામુડી, સહિત સેંકડો વોલન્ટીઅર્સનો આભાર માન્યો હતો.
ભારતના એમ્બેસેડર શ્રી ચક્વર્તી તથા IAAC નવનિયુક્ત ચેરમેન ડો.નિર્મલએ સુશ્રી અરૂણનું શાલ તથા મોમેન્ટો આપી બહુમાન કર્યુ હતું. ડો.નિર્મલએ IAACના નવા એકઝીકયુટીવ ડીરેકટર તરીકે શ્રી સુનિલ હલી, નવા વાઇસ ચેરમેન તરીકે શ્રી રાકેશ કૌલ, તથા બોર્ડ મેમ્બર્સ તરીકે શ્રી અનિલ બંસલ, શ્રી અનુરાગ હર્ષ, તથા શ્રી રાજીવ કૌલની નિયુક્તિની ઘોષણાં કરી હતી. તથા એડવાઇઝરી બોર્ડમાં પ્રોફેસર શ્રી એસ.શ્રીધર, શ્રીયાકુબ મેથ્યુ, તથા શ્રી ગૌરવ વર્માને નિમણુંક આપી હતી.
ડો.નિર્મલએ શ્રી સુનિલ હલીને સાઉથ એશિઅન મિડીયા આર્ટ, એન્ટરટેઇનમેન્ટ, તથા માર્કેટીંગ લીડર તરીકે વર્ણવ્યા હતા. તથા ઇન્ડિયન એક્ષપ્રેસ,દિવ્ય ભાષ્કર,સાઉથ એશિયા રેડિયો ઝીંદગી, ટેલિવીઝન ચેનલ્સ, સહિતના ક્ષેત્રે બે હજારની સાલથી તેમના પ્રદાનને બિરદાવ્યું હતું. તથા તેમણે મેળવેલા અનેક એવોર્ડસ અને તેમના આયોજીત બસ્સો જેટલા કોમ્યુનીટી ફેસ્ટીવલ્સ બદલ ગૌરવ વ્યક્ત કરી તેમણે હોદો સ્વીકાર્યો તે બદલ IAACને નસીબદાર ગણાવેલ.
શ્રી સુનિલ હલીએ ડો.નિર્મલનો આભાર માનવાતી સાથે તેમના નેતૃત્વ હેઠળ કામ કરવાની તક મળશે તે બદલ ખુશી વ્યક્ત કરી હતી. તથા આગામી ૨ ઓકટો.૨૦૧૮ના રોજ યોજાનારા ઉત્સવ અંગે માહિતી આપી હતી.જે મુજબ શ્રી રામચંદ્ર ગુહાની લિટરરી ઇવેન્ટ, બાદ ઉસ્તાદ અમઝદ અલી ખાન તથા તેમના પુત્રો અમન અલી ખાન, અને અયાન અલીખાનના મ્યુઝીક ફેસ્ટીવલ વિષે જણાવ્યું હતું. તેમજ આગામી ૭ મે થી ૧૨મે ૨૦૧૯ દરમિયાન યોજાનારા ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલ વિષે ટુંક સમયમાં જાણકારી અપાશે તેમ જણાવ્યું હતું.
ડો.નિર્મલએ અન્ય હોદેદારો વાઇસ ચેરમેન શ્રી રાજેશ કૌલ, શ્રી અનુરાગ હર્ષ, શ્રી અનિલ બંસલ, પ્રોફેસર શ્રી શ્રીધર, શ્રી ગૌરવ વર્મા, શ્રી યાકુબ મેથ્યુ, સહિતનાઓનો પરિચય આપી IAACને તમામ હોદેદારોના સહકારથી નવી ઊંચાઇએ લઇ જવાની કામના વ્યક્ત કરી હતી.
તેવું શ્રી સુનિલ હલી ૯૧૭-૬૯૨-૨૩૨૬ ની યાદીમાં જણાવાયું છે.