News of Tuesday, 2nd October 2018
ઓકલેન્ડ :યુ.એસ.માં ઓકલેન્ડ કવીન્સ સ્ટ્રીટ પર આજ 2 ઓક્ટો ના રોજ મહાત્મા ગાંધીની જન્મ જયંતિ ના 150 માં વર્ષની ઉજવણી નિમિતે ગ્લોબલ પીસ માર્ચનું આયોજન કરાયું હતું. ભારતીય હાઇકમિશનના અને ઓકલેન્ડ કોન્સુલેટના સંયુક્ત ઉપક્રમે કરાયેલા આ આયોજન પ્રસંગે ઓકલેન્ડના મેયર ફિલ ગૉફ,ન્યૂઝીલેન્ડના એથનિક કોમ્યુનિટી મિનિસ્ટર જેની સાલેસા, નેશનલ લિસ્ટ એમપી કંવલજીત બક્શી, પર્મજીત પરમાર, માનનીય ઓકલેન્ડ કોન્સુલેટ ભવ ધિલ્લોન અને આપણું ગુજરાતના દેવ ભારદ્વાજ, સોહન મિત્તલ પણ હાજર રહ્યા હતા. ઓકલેન્ડના વસતા ભારતના તમામ સમૂદાય અને સંગઠનોના સભ્યો મહાત્મા ગાંધીજીને સન્માન આપવા એકઠા થયા હતા.
આ તકે ઓકલેન્ડના મેયર ફિલ ગૉફે ગાંધીજીને પોતાના હીરો ગણાવતા કહ્યું હતું કે ગાંધીજીએ આપણને શાંતિ, અહિંસાનું મહત્વ સમજાવ્યું છે. ભારતની આઝાદી માટે તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમણે એ પણ સમજાવ્યું કે જે લક્ષ્ય તરફ આપણે આગળ વધીએ છીએ તે હિંસા વિના પણ મેળવી શકાય છે.દરેક ધર્મ એક સમાન છે અને તેમાં કોઇ ભેદભાવ ન હોવા જોઇએ તેનું મહત્વ આપણે ગાંધીજી પાસેથી જાણી શક્યા છીએ. આ વંશીય ભેદભાવને ભૂલી આપણે સમૃદ્ધ વિશ્વ તરફ પ્રયાણ કરવું જોઇએ.
એથનિક કોમ્યુનિટી મિનિસ્ટર જેની સાલેસાએ જણાવ્યું હતું કે ગાંધીજીની જન્મ જયંતિએ આયોજિત ગ્લોબલ પીસ માર્ચમાં ભાગ લઇને ધન્યતા અનુભવું છું. અહિંસા પ્રત્યે તેમના દ્રઢ મનોબળને કારણે યુનાઇટેડ નેશન્સે બીજી ઓક્ટોબરને વિશ્વ અહિંસા દિવસ તરીકે જાહેર કર્યો છે. તેમના જીવનથી હું એટલું જાણી શકી છું કે, ઘણાં દેશોના વિશ્વનેતાઓ હિંસાના માર્ગે જતાં હોય છે, પરંતુ શાંતિ કાર્ય કરી શકે છે તેનું સાચું ઉદાહરણ ગાંધીજી છે.તે હંમેશા ન્યાય માટે હાજર રહેતા. તેમના આ જ દૃઢ મનોબળને કારણે હું રાજકારણમાં આવી છું અને હંમેશા ન્યાય કરવાની કોશિષ કરું છું. ઓકલેન્ડ કોન્સુલેટ ભવ ધિલ્લોને જણાવ્યું હતું કે ઇન્ડિયન ડાયસપોરાની ઇચ્છા હતી કે આ પ્રકારનું આયોજન કરવામાં આવે અને મિનિસ્ટર જેની સાલેસાએ આ આયોજન પાછળ ઘણી મદદ કરી છે. વિશ્વમાં શાંતિ અર્થે તેમના કાર્યો આજે પણ દરેક હૃદયમાં સ્થાન પામે છે.