Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

આગામી સપ્તાહમાં બેન્કો સામાન્યરીતે ખુલ્લી રહેશે

સોશિયલ મિડિયા ઉપર રિપોર્ટ અફવા છે : કેન્દ્ર : બેંક સંપૂર્ણ કાર્યરત રહેશે : માત્ર બીજી સપ્ટેમ્બરે રવિવાર તેમજ ૮મી સપ્ટેમ્બરે બીજા શનિવારના લીધે રજા રહેશે

નવીદિલ્હી,તા. ૩૧ : નાણામંત્રાલયે આજે સોશિયલ મિડિયા ઉપર ફેલાયેલી અફવાઓ અંગે ખુલાસો કરતા કહ્યું છે કે, આગામી સપ્તાહમાં સામાન્યરુપથી બેંકોમાં કામકાજ થશે. દહેશતમાં મુકવવાની કોઇ જરૂર નથી. અગાઉ સોશિયલ મિડિયા ઉપર એવી અફવાઓ ચાલી હતી કે, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં છ દિવસ સુધી બેંકો બંધ રહી શકે છે જેથી સપ્તાહમાં બેંકિંગ પ્રવૃત્તિ ખોરવાઈ જશે. એક નિવેદન જારી કરીને નાણામંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સોશિયલ મિડિયાના કેટલાક વર્ગોમાં એવી અફવા ચાલી હતી કે, સપ્ટેમ્બર ૨૦૧૮ના પ્રથમ સપ્તાહમાં છ દિવસ બેંકો બંધ રહેશે. આના કારણે સામાન્ય લોકોની અંદર દહેશત ફેલાઈ ગઈ હતી. સોશિયલ મિડિયા ઉપર પ્રકાશિત બાબતો આધારવગરની છે અને બેંકિંગ પ્રવૃત્તિ યથાવતરીતે જારી રહેનાર છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, બેંકો સામાન્યરીતે ખુલ્લી રહેશે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં બેંકિંગ પ્રવૃત્તિ સામાન્યરીતે ચાલુ રહેશે. બેંક માત્ર રવિવાર બીજી સપ્ટેમ્બરના દિવસે અને બીજા શનિવાર આઠમી સપ્ટેમ્બરના દિવસે બંધ રહેશે. ત્રીજી સપ્ટેમ્બરના દિવસે રાષ્ટ્રીય રજા નથી. આ દિવસે કેટલાક રાજ્યોમાં રજા રહેશે. મંત્રાલયનું કહેવું છે કે, આ દિવસોમાં પણ તમામ રાજ્યોમાં એટીએમ સંપૂર્ણપણે ચાલુ રહેશે. ઓનલાઈન બેંકિંગ લેવડદેવડ ઉપર કોઇ અસર થશે નહીં. બેંકોને એટીએમમાં રોકડ રકમ સંપૂર્ણપણે મળી રહે તેમ કહેવામાં આવ્યું છે. એટીએમને સંપૂર્ણપણે ભરી દેવામાં આવનારછે. બેંકો સપ્તાહ દરમિયાન ચાલુ રહેશે. માત્ર બીજી સપ્ટેમ્બર અને ૮મી સપ્ટેમ્બરના દિવસે રજા રહેશે. આ સંદર્ભમાં બેંકોના આંકડા ખોટીરીતે જારી કરવામાં આવી રહ્યા છે. ત્રીજી સપ્ટેમ્બરે પાન ઇન્ડિયા હોલિડે નથી. તમામ રાજ્યોમાં ફુલ્લી કાર્યરત રહેશે.

(7:36 pm IST)