Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

કાશ્મીરમાં પોલીસ પરિવારના ૯ સભ્યોના અપહરણ

પોલીસ તંત્રમાં ભય ફેલઙ્ગાવવા આતંકીઓનો નવો દાવ : ૨૪ કલાકમાં સંખ્યાબંધ અપહરણ થતાં મોટો ખળભળાટ

શ્રીનગર તા. ૩૧ : જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના વિભિન્ન વિસ્તારોમાંથી પોલીસકર્મીઓના પરિવારજનોનું અપહરણ કરતા ખળભળાટ મચ્યો છે. અત્રે જણાવવાનું કે ગુરુવારે જ હિજબુલ મુજાહિદ્દીનના વોન્ટેડ આતંકી સૈયદ સલાહુદ્દીનના બીજા પુત્રની એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ અપહરણ કરાયેલા લોકોની તપાસ માટે સમગ્ર રાજયમાં સર્ચ અભિયાન ચલાવી રહી છે.

પોલીસે આ મામલે હાલ કોઈ નિવેદન જારી કર્યું નથી અને કહ્યું છે કે તેઓ અપહ્રત સંબંધી રિપોર્ટ્સની માહિતી મેળવી રહી છે. બીજી બાજુ આ ઘટના અંગે જાણકારી રાખનારા અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ ઓછામાં ઓછા પાંચ લોકોના શોપિયા, કુલગામ, અનંતનાગ અને અવંતિપોરામાંથી તેના ઘરમાંથી ઉપાડી ગયા છે. અપહરણ કરાયેલા લોકોના પરિજન રાજયના પોલીસખાતામાં કામ કરે છે.

જે પોલીસકર્મીઓના સંબંધીઓનું અપહરણ કરાયું છે તેઓ કુલગામ, પુલવામા, બડગામ, ત્રાલ, અરવાનીમાં તહેનાત છે. જેમાં એસએચઓ નાઝિર અહેમદના ભાઈ આરિફ, ડીએસપી એઝાઝના ભાઈ, અરવાનીના પોલીસકર્મીનો પુત્ર, પોલીસકર્મી રફીક એહમદ રાઠરનો પુત્ર, એએસઆઈ બશીર એહમદનો પુત્ર યાસિર એહમદ, પોલીસકર્મી મકબુલ ભટ્ટનો પુત્ર ઝુબેર એહમદ, અબ્દુલ સલામનો પુત્ર સમર એહમદ રાઠર સામેલ છે.

તેમાં પોલીસ ઉપઅધિક્ષકનો ભાઈ પણ સામેલ છે. આ ઘટનામાં ગાંદરબલ જિલ્લાથી અપહ્રત કરાયેલા પોલીસકર્મીના પરિજનને આતંકીઓએ ખુબ પીટાઈ કર્યા બાદ છોડી મૂકયો હોવાનું જામવા મળ્યું છે.

અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ અને અલગાવવાદીઓ દ્વારા થયેલી વિદેશી ટેરર ફંડિંગની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ મોટી કાર્યવાહી કરતા ગુરુવારે વોન્ટેડ આતંકી સૈયદ સલાહુદ્દીનના બીજા પુત્ર શકીલ અહેમદની શ્રીનગરના રામબાગ વિસ્તારમાં સ્થિત તેના ઘરેથી ધરપકડ કરી હતી. શકીલ પહેલા સલાહુદ્દીનના પહેલા પુત્રની પણ મની લોન્ડરિંગના મામલે ધરપકડ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે બુધવારે ત્રાલ વિસ્તારમાંથી આતંકીઓએ પોલીસકર્મીના દીકરાનું અપહરણ કર્યું હતું. બાળકના અપહરણની ખબર મળ્યાં પછી પીડિત પરિવારની હાલત ઘણી ખરાબ છે. પરિવારે આતંકીઓને બાળકોને છોડવાની વિનંતી કરી છે. આ મામલાથી જોડાયેલ એક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં પીડિત પરિવારના લોકો પરિજનોને છોડવાની અપીલ કરી રહ્યાં છે.

આ બધા વચ્ચે જમ્મુ-કાશ્મીરના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પોલીસ અપહરણ કરેલ દરેકને સુરક્ષિત પરત લાવવાના પ્રયત્નો કરી રહી છે. નોંધનીય છે કે આ ઘટના પહેલા ગુરૂવારે સવારે દક્ષિણ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં આતંકીઓના પરિવારના અપહરણ અંગે પ્રદર્શન કર્યા હતાં. ગામ લોકોનો આરોપ છે કે બુધવારે આતંકીઓએ ચાર પોલીસકર્મીઓની હત્યા પછી પોલીસ વિસ્તારના ઘણાં ઘરોમાં આગ લગાવી દીધી હતી.(૨૧.૬)

 

(11:32 am IST)