Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

રૂપાણીએ નીતિનભાઇ મુદ્દે ટિપ્પણી કરવાનું ટાળી દીધું

મોડી સાંજે કમલમ ખાતે નીતિન પટેલની વાતચીત : ભાજપના ટોપના નેતાઓ પણ નીતિન પટેલના સંપર્કમાં

અમદાવાદ, તા. ૩૦ : ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલ ખાતાઓની ફાળવણી કરવામાં આવ્યા બાદથી નાખુશ દેખાઈ રહ્યા છે. નીતિન પટેલને મનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાર્ટી હાઈકમાન્ડે પણ સમગ્ર ઘટના ઉપર ચાંપતી નજર કેન્દ્રિત કરી દીધી છે. આવી સ્થિતિમાં નીતિન પટેલ હજુ પણ નારાજ દેખાઈ રહ્યા છે. બીજી બાજુ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે ફલાવર શોનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા ત્યારે મીડિયાપર્સન દ્વારા મુખ્યમંત્રીને નીતિનભાઇ પટેલ વિશે પ્રશ્નો પૂછાયા હતા. જો કે, રૂપાણીએ નીતિનભાઇ મુદ્દે કોઇપણ જવાબ કે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. તેઓ કંઇ બોલ્યા વિના જ રવાના થઇ ગયા હતા. જો કે, રૂપાણી એ અરસામાં મોબાઇલ પર લાંબી વાત કરતા નજરે પડતા હતા,તેથી તે વાતચીત હાઇકમાન્ડ સાથે ચાલી હોય તેવી ચર્ચા પણ ચાલી હતી. ભાજપના ટોપના નેતાઓ સમગ્ર ઘટનાક્રમને લઇને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મોડી સાંજે નીતિન પટેલ કમલમ જવા માટે રવાના થયા હતા. કમલમ ઓફિસપર નીતિન પટેલને મનાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવનાર છે. નીતિન પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આક્રમક પ્રચાર કરીને લોકોને પોતાની તરફેણમાં કર્યા હતા. જોરદાર દેખાવ કર્યો હતો.

(8:01 pm IST)