Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ખેડુતોનું સંપૂર્ણ દેવુ માફ થવું જોઈએ :અરવિંદ કેજરીવાલ

સ્વામીનાથન પંચને લાગુ કરવા માટેની માંગણી : પાક વીમા યોજના ફ્રોડ છે અને આ યોજનાને બંધ કરીને ખેડુતો વળતર યોજના લાવવા કેજરીવાલની ઉગ્ર માંગણી

નવી દિલ્હી, તા. ૩૦ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી બાદ આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ખેડુતોને સંબોધન કર્યું હતું અને મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે સામાન્ય રીતે ત્રણ માંગો સમજમાં આવે છે. કેજરીવાલનું કહેવું છે કે જેટલું દેવું ખેડુતોનું છે તે દેવુ માફ થવું જોઈએ. ખેડુતોને તેમના પાક માટે પુરતા નાણાં મળવા જોઈએ. જે વચન આપવામાં આવ્યું હતું તે મુજબ સ્વામીનાથન પંચને લાગુ કરવાના પ્રયાસ કરવા જોઈએ. ખેડુતોને કોઈ ભીખની જરૂર નથી. ખેડુતો પોતાના અધિકાર માંગી રહ્યા છે. સરકારો એમએસપી નક્કી કરે છે પરંતુ આ કિંમત ઉપર કોઈ ખરીદી કરવામાં આવતી નથી. ખેડુતોના પાક બરબાદ થઈ જાય છે. સરકાર દ્વારા જે પાક વીમા યોજના બનાવવામાં આવી છે તે ફ્રોડ છે. ખેડુતો સાથે વિશ્વાસઘાત સમાન છે. ભાજપની ખેડુતોને લુંટવાની આ યોજના છે. આ વીમાયોજનાને બંધ કરવાની જરૂર છે. ત્રણ વર્ષથી જેટલા પૈસા લેવામાં આવ્યા છે તે પૈસા ખેડુતોને પરત મળવા જોઈએ તેની જગ્યાએ ખેડુત વળતર યોજના લાવવાની કેજરીવાલે માંગ કરી હતી. કેજરીવાલે કહ્યું હતું કે અમે દિલ્હીના ખેડુતોને ૫૦ હજાર રૂપિયા પ્રતિ હેકટરની દ્રષ્ટીએ વળતર આપી રહ્યા છીએ. ભારતની કોઈપણ સરકારે આવા પગલાં લીધા નથી. જો દિલ્હી સરકાર આવા પગલાં લઈ શકે છે તો મોદી સરકાર કેમ પગલા લઈ શકતી નથી. અંબાણી અને અદાણીની જેટલી ચિંતા સરકારને રહે છે તે પૈકી ૧૦ ટકા ખેડુતોની ચિંતા કરવા કેજરીવાલે કહ્યું હતું. જો આવું થશે નહીં તો આગામી વખતે મત પણ અંબાણી અને અદાણી પાસે જ મોદીને માંગવા પડશે.

ખેડુતો ૨૦૧૯માં મોદી સરકાર સામે કયામત લાવી દેશે. કેજરીવાલે ગંભીર આક્ષેપો કરીને ઉપસ્થિત નારાજ લોકોની મોદી સામે નારાજગી વધારી હતી.

(7:20 pm IST)