Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

દિલ્હીમાં ખેડૂતોની 'આક્રોશ માર્ચ' : સંસદને ઘેરવા તૈયારી

ખેડૂતો સરકાર પાસે પૂરેપૂરા દેવા માફી અને પાકના ખર્ચ પર દોઢ ગણા પૈસાની માંગ કરી રહ્યા છેઃ કુચ મામલે ખેડૂતો - પોલીસ વચ્ચે ડખ્ખો : કોઇપણ ભોગે કુચ માટે ખેડૂતો મક્કમ : રાહુલ - કેજરીવાલ ખેડૂતોને મળે તેવી વકી

નવી દિલ્હી તા. ૩૦ : પોતાના બે માગણીઓને લઇને દેશભરના હજારો ખેડૂતો દિલ્હીના રામલીલા મેદાનમાં ભેગા થયા છે, જયાંથી તેઓ આજે સંસદ સુધી માર્ચ કરશે. ખેડૂતો સરકાર પાસેથી સંપૂર્ણ દેવા માફી અને પાકના પોષણત્ત્।મ ભાવો મળી રહે તેવી માંગ કરી રહ્યા છે. દેશભરના ખેડૂતો બુધવારની રાત્રીથી દિલ્હી પહોંચી રહ્યા છે. આજે કોઇપણ ભારે કુચ યોજવા ખેડૂતો મક્કમ છે. પોલીસ અને ખેડૂતો વચ્ચે કુચને લઇને ડખ્ખો થયો છે. ખેડૂતોની વ્હારે રાહુલ ગાંધી અને કેજરીવાલ આવે તેવી શકયતા છે.

ગુરૂવાર રાત સુધી રામલીલા મેદાનમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થઇ ગયા છે અને હાલ પણ તેઓ અનેક જગ્યાએથી પહોંચવાનો સિલસિલો યથાવત છે. ગુરૂવારે રામલીલા મેદાનમાં 'અયોધ્યા નહીં દેવું માફ જોઇએ' જેવા નારા સાંભળવા મળ્યા હતા. આંદોલનમાં ભેગી થઇ રહેલી ભીડને જોતા દિલ્હી પોલીસે સુરક્ષાના કારણોસર કડક બંદોબસ્ત કર્યો છે. પોલીસે શુક્રવારે રામલીલા મેદાનથી સંસદ માર્ગ સુધી ખેડૂત માર્ચ માર્ગમાં સુરક્ષા અને ટ્રાફિક ના સર્જાય તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

પોલીસ તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે, ખેડૂતોની માર્ચ દરમિયાન રસ્તાની બન્ને બાજુ દોરડું લગાવવામાં આવ્યું છે અને બીજી બાજુ પોલીસ તૈનાત હશે, જેથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય. રાજધાનીમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેના માટે શુક્રવારે ૩૫૦૦ પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના આ આંદોલનને ઘણા વર્ગો અને સામાજિક કાર્યકર્તાઓનું સમર્થન મળી રહ્યું છે. ગુરુવારે પૂર્વ વડાપ્રધાન અને JDS નેતા એચડી દેવગૌડાએ રામલીલા મેદાનમાં ખેડૂતો સાથે મુલાકાત કરી. અહીં તેમણે વડાપ્રધાન મોદીને આ મામલા દખલ અંદાજી કરી વ્યકિતગત મુલાકાત કરે તેવી અપીલ કરી હતી. આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પણ ખેડૂતોની મુલાકાત લઈ શકે છે.

દિલ્હીના રસ્તા પર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોની રેલીના કારણે ટ્રાફિક પર થોડી ઘણી જ અસર જોવા મળી હતી. ખેડૂતો અને રેલી આયોજકોની શિસ્તબદ્ઘ કાર્યક્રમથી દિલ્હીવાસીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. જયારે તેમ છતા રેલીમાં ચાલતા ખેડૂતોએ રસ્તામાં આવતી દુકાનો અને લોકોને પેમ્પલેટ વહેંચ્યા હતા. જેમાં તેમની માગણીઓ અને આ રેલીના કારણે દિલ્હીવાસીઓને પડેલી મુશ્કેલીઓ માટે માફી પણ માગી હતી. પોલીસના અંદાજ મુજબ આજે રામલીલા મેદાનમાં ૨૦૦૦૦ જેટલા ખેડૂતો ભેગા થઈ શકે છે. (૨૧.૧૦)

 

(11:37 am IST)