Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ગોપાલ ચાવલાને ઓળખતા હોવા નવજોત સિદ્ધૂએ સ્પષ્ટ ઇન્કાર કર્યો

ખાલિસ્તાની સમર્થક સાથે સિદ્ધૂ દેખાતા દેશભરમાં હોબાળો : ભારત પરત ફર્યા બાદ સિદ્ધૂ ઉપર વાઘા સરહદે પ્રશ્નોનો વરસાદ : હાફીઝ સઇદના નજીકના સાગરિત ગોપાલ ચાવલા સાથે ફોટાને લઇને ભારે વિવાદ

નવીદિલ્હી, તા. ૨૯ : પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધૂની પાકિસ્તાન યાત્રા ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી ગઈ છે. પાકિસ્તાનમાં ખાલિસ્તાની સમર્થક ગોપાલ ચાવલાની સાથે તેમનો ફોટ સપાટી ઉપર આવ્યા બાદ દેશમાં વિખવાદ થઇ ગયો છે. ભાજપ સહિત વિપક્ષી નેતા સિદ્ધૂની જોરદાર ઝાટકણી કાઢી રહ્યા છે. જોરદાર હોબાળા વચ્ચે ભારત પરત ફરી રહેલા સિદ્ધૂએ વાઘા સરહદ ઉપર પત્રકારોના પ્રશ્નોના વરસાદનો સામનો કરવો પડ્યો હતો. નવજોત સિદ્ધૂએ કહ્યું હતું કે, ગોપાલ ચાવલા કોણ છે તેમને તે ઓખળતા નથી. ચાવલા મુંબઇ હુમલાના અપરાધી હાફીઝ સઇદના નજીકના લોકો પૈકી એક છે. હાફીઝની સાથે તેનો ફોટો પણ સાપટી ઉપર આવી ચુક્યો છે. સિદ્ધૂએ પોતાના ખુલાસામાં એમ પણ કહ્યું છે કે, પાકિસ્તાનમાં તેમની પાસે આશરે ૫૦૦૦થી ૧૦૦૦૦ ફોટા પાડવામાં આવ્યા હતા. ગોપાલ ચાવલા કોણ છે તેમની પાસે માહિતી નથી. આ પહેલા સ્વદેશ પહોંચ્યા બાદ સિદ્ધૂએ કહ્યું હતું કે, લાયકાતનું મૂલ્યાંકન શરૂઆત કરવાથી નહીં તેને પૂર્ણ કરવાથી થાય છે. આજે ૭૧ વર્ષના ઇંતજારનો અંત આવી ગયો છે. સકારાત્મક શરૂઆત થઇ છે. બંને દેશો વચ્ચે દુશ્મનીનો અંત આવે તે જરૂરી છે. સિદ્ધૂએ કહ્યું હતું કે, તેઓ બંને પંજાબના દિલને જોડવાનું કામ કરીને આવ્યા છે. ગુરુનાનકના આશીર્વાદથી તમામ બાબતો બની રહી છે. બોર્ડર ખુલી જશે તો બંને તરફ ખુશીનો માહોલ છવાશે. સિદ્ધૂએ કહ્યું છે કે, કાર્યક્રમની શરૂઆત થઇ છે. સંબંધો પણ સુધરશે. બુધવારના દિવસે કરતારપુર કાર્યક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નવજોત સિદ્ધૂની ભરપુર પ્રશંસા કરી હતી. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, સિદ્ધૂ પાકિસ્તાનમાં એટલા લોકપ્રિય થઇ ચુક્યા છે કે જો ચૂંટણી લડશે તો પણ જીતી જશે. ઇમરાને એમ પણ કહ્યું હતું કે, અમને દોસ્તી માટે સિદ્ધૂના ભારતના વડાપ્રધાન બનવા સુધીની રાહ જોવી જોઇએ નહીં. નવજોત સિદ્ધૂનો ફોટો ખાલિસ્તાની સમર્થક સાથે સપાટી ઉપર આવ્યા બાદથી ભારે હોબાળો થઇ ગયો છે. આગામી દિવસોમાં નવજોત સિદ્ધૂને વધુ પ્રશ્નોના જવાબ આપવા પડે તેમ માનવામાં આવે છે. નવજોત સિદ્ધૂની પ્રતિક્રિયાને લઇને પણ નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. આટલા મોટા કાર્યક્રમમાં કોઇપણ વ્યક્તિ ફોટા પડાવવા પહોંચી જાય અને નવજોત સિદ્ધૂ પાસે માહિતી ન હોય તે બાબત કોઇને ગળે ઉતરતી નથી. ભારતના જાણકાર લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સાથે સાતે નવજોત સિદ્ધૂને લઇને નારાજગી પણ વ્યક્ત કરી છે.

(12:00 am IST)