Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

નોટબંધી ખુબ કઠોર નિર્ણય હતો : અરવિંદ સુબ્રમણ્યમ

જીડીપી ગ્રોથમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો : વડાપ્રધાને મહત્વપૂર્ણ નિર્ણય પર સીઈએનો મત ના લીધો

નવીદિલ્હી, તા. ૨૯ : નોટબંધી ખુબ મોટું નાણાંકીય પગલું હતું જેના પરિણામ સ્વરુપે આઠ ટકાના જીડીપી ગ્રોથને આગામી સાત ત્રિમાસિક ગાળામાં ૬.૮ ટકા સુધી લાવવામાં ભૂમિકા ભજવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે આજે આ મુજબની વાત કરી હતી. ૮મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે જાહેર કરવામાં આવેલી નોટબંધી પર પોતાનું મૌન તોડતા કહ્યું હતું કે, તેમની પાસે આનાથી બહાર નિકળવા માટે અદા કરવામાં આવેલી કિંમત ઉપર અનુભવ આધારિત અન્ય કોઇ વલણ નથી. સુબ્રમણ્યમે ચાર વર્ષની અવધિ બાદ આ વર્ષની શરૂઆતમાં હોદ્દો છોડી દીધો હતો. સુબ્રમણ્યમે પોતાના પુસ્તકમાં આ મુજબની વાત કરી છે. જો કે, પુસ્તકમાં સુબ્રમણ્યમે આ બાબતનો ઉલ્લેખ કર્યો નથી કે, નોટબંધીનો નિર્ણય લેતી વેળા સરકારે તેમનો અભિપ્રાય માંગ્યો હતો કે કેમ. જો કે, સુબ્રમણ્યમે એટલી વાત ચોક્કસપણે કરી છે કે, વડાપ્રધાને મહત્વપૂર્ણ નિર્ણય ઉપર સીઈએના અભિપ્રાય લીધા ન હતા. પેંગુઇનથી પ્રકાશિત થનાર પુસ્તકમાં તેઓએ લખ્યું છે કે, એક જ ઝટકામાં ૮૬ ટકા નોટ બંધ કરી દેવાનો નિર્ણય ખુબ મોટો અને કઠોર નિર્ણય હતો. નોટબંધીથી વાસ્તવિક જીડીપી ગ્રોથને માઠી અસર થઇ હતી. જીડીપી ગ્રોથમાં પહેલા પણ ઘટાડો થઇ રહ્યો હતો પરંતુ નોટબંધી બાદ તેના ઘટાડામાં તેજી આવી હતી. સુબ્રમણ્યમે પહેલા પણ બે પુસ્તકો લખ્યા છે. નોટબંધીથી પહેલાના છ ત્રિમાસિક ગાળામાં સરેરાશ ગ્રોથરેટ આઠ ટકા હતો. બાદના સાત ત્રિમાસિક ગાળામાં ૬.૮ ટકા થયો હતો. સુબ્રમણ્યમે પુસ્તકમાં લખ્યું છે કે, કોઇપણ આ બાબતથી અસહમત થશે નહીં કે નોટબંધીથી આર્થિક વિકાસમાં સુસ્તી આવી હતી બલ્કે ચર્ચા આ બાબતની થઇ રહી છે કે, નોટબંધીના કારણે કેટલી અસર થઇ છે. આનાથી જીડીપી ગ્રોથ રેટ બે ટકા ઘટ્યો છે કે કેમ. આ અવધિમાં અન્ય કારણો દ્વારા અન્ય ગ્રોથને અસર થઇ હતી જેમાં ઉંચા વ્યાજદર, જીએસટીના અમલીકરણ અને અન્ય તેલ કિંમતોનો સમાવેશ થાય છે. નોટબંધીના સંદર્ભમાં અન્ય બાબતોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. અરવિંદ સુબ્રમણ્યમ દ્વારા કહેવામાં આવ્યું છે કે, નોટબંધી ખુબ જ કઠોર નિર્ણય તરીકે હતો અને તેની અસર સામાન્ય લોકો ઉપર થઇ હતી. આના કારણે લોકોના જીવન ધોરણ બદલાયા હતા. વિકાસદર ઉપર અસર થઇ હતી. જુદા જુદા આર્થિક પરિબળો ઉપર પણ તેની પ્રતિકુળ અસર થઇ હતી. અરવિંદ સુબ્રમણ્યમના નિવેદનના સંદર્ભમાં સરકાર તરફથી કોઇ પ્રતિક્રિયા અપાઈ નથી.

(12:00 am IST)