Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

યૌન શોષણના કેસમાં પોલીસ દ્વારા અનુરાગ કશ્યપને સમન્સ

પાયલ ઘોષે અનુરાગ સામે ફરિયાદ નોંધાવી : અનુરાગ કશ્યપ સાથે ફેસબુક દ્વારા મિત્રતા થઈ હતી, જે બાદ તે અનુરાગને મળી હોવાનો અભિનેત્રીએે દાવો કર્યોે

મુંબઈ,તા.૩૦ : યૌન શૌષણના કેસમાં અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસ સમન્સ પાઠવ્યું છે. ૧ ઓક્ટોબરના રોજ અનુરાગ કશ્યપને પોલીસ સ્ટેશન પહોંચવાનું છે. મીડિયા રિપોર્ટ મુજબ, ગુરુવારે સવારે ૧૧ વાગ્યે અનુરાગ કશ્યપ વર્સોવા પોલીસ સ્ટેશનમાં હાજર થશે. બોલિવુડ એક્ટ્રેસ પાયલ ઘોષે કથિત રીતે અનુરાગ પર સાત વર્ષ પહેલા બળાત્કાર કર્યાનો આરોપ મૂક્યો છે. થોડા દિવસ પહેલા પાયલે વિડીયો જાહેર કરીને અનુરાગ પર ચોંકાવનારા આરોપ લગાવ્યા હતા. પાયલે વિડીયોમાં કહ્યું હતું કે તેની અને અનુરાગ કશ્યપની મિત્રતા ફેસબુક દ્વારા થઈ હતી. જે બાદ તે અનુરાગને મળી હતી. ત્રીજી મુલાકાત વખતે અનુરાગે પાયલને ઘરે બોલાવી હતી અને જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમ પાયલનું કહેવું છે. એક્ટ્રેસના વકીલ નિતિન સતપૂતે અમારા સહયોગી ઈટાઈમ્સને જણાવ્યું હતું કે, અનુરાગ કશ્યપ સામે લેખિત ફરિયાદ નોંધાવાઈ છે. આઈપીસીની કલમ ૩૭૬, ૩૫૪, ૩૪૧ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

              તો આ તરફ અનુરાગ કશ્યપે પાયલ ઘોષે લગાવેલા તમામ આરોપો પાયાવિહોણા હોવાનું કહ્યું હતું. અનુરાગ કશ્યપના સમર્થનમાં તાપસી પન્નુ સહિતની ઘણી એક્ટ્રેસ ઉતરી આવી હતી. અનુરાગની તરફેણ કેમ કરી રહી છે તેનું કારણ આપતા તાપસીએ કહ્યું હતું કે, અનુરાગ સૌથી મોટો નારીવાદી છે. તે હંમેશા સ્ત્રીઓના સમાન અધિકારમાં માને છે. સાથે જ તાપસીએ કહ્યું હતું કે, જો અનુરાગ દોષી સાબિત થશે તો પહેલી વ્યક્તિ હશે જે તેની સાથે સંબંધ તોડશે. ઉપરાંત અનુરાગ કશ્યપની બંને પૂર્વ પત્નીઓએ પણ તેનો બચાવ કર્યો હતો. પાયલની ફરિયાદને તેમણે સૌથી વાહિયાત સ્ટન્ટ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સોમવારે પાયલ ઘોષે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને અનુરાગ કશ્યપની ધરપરડની માગ કરી હતી. રામદાસ અઠાવલેએ કહ્યું હતું, પાયલ ઘોષે રાજ્યપાલને આવેદનપત્ર આપીને પોતાના માટે સુરક્ષાની અને અનુરાગ કશ્યપની ધરપરડની માગ કરી છે. તેણે પોલીસ ફરિયાદ કર્યાના આઠ દિવસ થઈ ગયા હોવા છતાં અનુરાગ કશ્યપ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

(7:28 pm IST)