Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

બજેટમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રે નવી આકર્ષક પહેલ થઇ શકે

કેમિકલ, એન્જિનિયરિંગ સેક્ટર આશાવાદી : જીએસટી બાદ મેન્યુફેકચરિંગ સેક્ટરમાં તેજીના પ્રયાસો

નવી દિલ્હી,તા. ૩૦ : નાણાં પ્રધાન અરૂણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે  સામાન્ય બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. જેટલી તેમના અંતિમ સંપૂર્ણ બજેટમાં  નિકાસને પ્રોત્સાહન આપવા તથા સ્થાનિક મેન્યુફેક્ચરીંગ સેક્ટરને પ્રોત્સાહન આપવાના હેતુસર ડ્યુટી કરચોરીની સમસ્યાને ટાળવા કેટલા ટેરીફ સંબંધિત પગલાંઓની જાહેરાત કરી શકે છે. ગયા વર્ષે જુલાઇ મહિનામાં જીએસટી વ્યવસ્થા અમલી કરવામાં આવ્યા બાદ નાના અને મોટા વેપારીઓ પણ પરેશાન થયા હતા. અનેક કારોબાર બંધ થઇ ગયા હતા. લાખો લોકોએ નોટબંધી અને જીએસટી બાદ નોકરી ગુમાવી હતી. આવી સ્થિતીમાં મોદી સરકાર વર્તમાન અવધિના તેના છેલ્લા બજેટમાં કેટલીક લોકલક્ષી જાહેરાત કરીને મેન્યુફેકચરિંગ સેક્ટરમાં નવા પ્રાણ ફુંકી શકે છે. ડ્યુટીમાં ચોરીના કિસ્સાઓ તાજેતરના સમયમાં વધ્યા છે. જાણકાર સૂત્રોનું કહેવું છે કે સ્થાનિક ઉત્પાદનને વધારવા તથા મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં આના લીધે નવા પ્રાણ ફૂંકાશે. ડ્યુટી, કરચોરીનો મૂળભૂત મતલબ એ છે કે રો મેટેરીયલ અને અન્ય ચીજવસ્તુઓ પર ફિનિસ્ડ પ્રોડક્ટ કરતા વધુ ટેક્સ હોય છે.  જુદી જુદી નિકાસ સંબંધિત કાઉન્સીલ દ્વારા એવું ધ્યાન દોરવામાં આવ્યું છે કે ડ્યુટી ચોરીના કિસ્સાઓમાં વધારો થયો છે જેથી સરકાર આ બાબતને દૂર કરવા પ્રયત્નશીલ બનેલી છે. ખાસ કરીને કેમીકલ અને એન્જીનીયરીંગ સેક્ટરોમાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.સ્થાનિક પ્રોડક્શનને પ્રોત્સાહન આપવા અને મેન્યુફેક્ચરીંગને વધુ વેગ અપાશે. આનાથી નિકાસને પણ પ્રોત્સાહન મળશે.  વડાપ્રધાન નરેન્દ્ર નરેન્દ્ર મોદી મેક ઇન ઇન્ડિયાની વાત કરી ચુક્યા છે. જેથી ભારતને મેન્યુફેકચરિંગના ક્ષેત્રમાં ઝડપથી આગળ વધારવા માટે અનેક પહેલ કરવામા ંઆવી શકે છે. ઉપરાંત રોકાણને વધારવા અને નિકાસના બજારમાં પ્રભુત્વ જમાવવા માટે પણ નવી પહેલ થઇ શકે છે. હાલ ચૂંટણીઓ પણ આવી રહી છે.

(12:37 pm IST)