News of Saturday, 29th December 2018
મુંબઈ તા. ૨૯ : સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસરબી અને સાથીદાર તુલસીરામ પ્રજાપતિના કથિત નકલી એન્કાઉન્ટરની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સી પર સ્પેશયલ સીબીઆઈ કોર્ટએ એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટનું કહેવું છે કે, એન્કાઉન્ટરની તપાસ પહેલેથી વિચારાયેલા એક સિદ્ઘાંતની સાથે ઘણા રાજકીય નેતાઓને ફસાવવાના ઈરાદે કરવામાં આવી હતી. સ્પેશયલ સીબીઆઈ જજ એસજે શર્માએ ૨૧ ડિસેમ્બરે મામલામાં ૨૨ આરોપીઓને મુકત કરતા ૩૫૦ પાનાનાં આદેશમાં આ ટિપ્પણી કરી. કોર્ટે પુરાવાના અભાવે આરોપીઓને મુકત કરી દીધા અને ત્રણના મોત પર દુઃખ વ્યકત કર્યું. આદેશની કપી શુક્રવારે મળી ન શકી, પરંતુ મીડિયાને આદેશના અંશ પૂરા પાડવામાં આવ્યા. પોતાના આદેશમાં જજ શર્માએ કહ્યું કે, તપાસ રાજકારણથી પ્રેરિત હતી.
આદેશમાં કહેવાયું છે કે, 'મારી સમક્ષ રજૂ કરાયેલા તમામ પુરાવા અને સાક્ષીઓના નિવેદનો પર ઝીણવટથી વિચાર કરતા મને એ કહેવામાં કોઈ ખચકાટ નથી કે સીબીઆઈ જેવી એક ઉચ્ચ તપાસ એજન્સીની પાસે એક પૂર્વ નિર્ધારિત સિદ્ઘાંત અને પટકથા હતી, જેનો હેતુ રાજકીય નેતાઓને ફસાવવાનો હતો.' આદેશમાં કહેવાયું છે કે, સીબીઆઈએ મામલાની પોતાની તપાસ દરમિયાન હકીકતને સામે લાવવાને બદલે કેટલીક અન્ય બાબતો પર કામ કર્યું.
આદેશ મુજબ, 'એ સ્પષ્ટ રીતે જાહેર થાય છે કે સીબીઆઈ સત્યને શોધવાને બદલે પહેલેથી સમજી-વિચારી રખાયેલા એક ખાસ અને પૂર્વ નિર્ધારિત સિદ્ઘાંતને સ્થાપિત કરવા માટે વધારે વ્યાકુળ હતી.' તેમાં કહેવાયું છે કે, સીબીઆઈએ કાયદા મુજબ તપાસ કરવાને બદલે પોતાના લક્ષ્ય પર પહોંચવા માટે કામ કર્યું.
આદેશમાં એવું પણ સ્પષ્ટ કરાયું છે કે, આ રીતે સમગ્ર તપાસનું લક્ષ્ય એ મુકામને મેળવવા માટે એક પટકથા પર કામ કરવાનો હતો. સાથે જ, રાજકીય નેતાઓને ફસાવવાની પ્રક્રિયામાં સીબીઆઈ સમક્ષ સાક્ષ્ય ઊભા કરાયા તથા આરોપનામામાં સાક્ષીઓને ઉમેરવામાં આવ્યા. કોર્ટે એ વાતનો ઉલ્લેખ કર્યો કે, મહત્વપૂર્ણ સાક્ષ્ય પ્રત્યે સીબીઆઈએ બેદરકારી દાખવી, જે એ સ્પષ્ટ સંકેત આપે છે કે તપાસ એજન્સીએ ઉતાવળે તપાસ પૂરી કરી. આદેશમાં કહેવાયું છે, 'આ રીતે સીબીઆઈએ એ પોલીસકર્મીઓને ફસાવ્યા, જેમને કોઈ ષડયંત્ર વિશે કોઈ જાણકારી ન હતી.'
કોર્ટે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, ત્રણ લોકો માર્યા ગયા તેનું દુઃખ છે અને તેના માટે સજા નથી મળી રહી. સાથે જ તેની પાસે આરોપીઓને દોષી ન ઠેરવવા ઉપરાંત કોઈ વિકલ્પ નથી. આદેશમાં કહેવાયું છે કે, સીબીઆઈના એ સિદ્ઘાંતને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી કે એક પોલીસ ટીમે ત્રણ લોકો (મૃતકો)નું અપહરણ કર્યું હતું. આદેશમાં એમ પણ કહેવાયું છે કે સીબીઆઈ એ સાબિત કરવામાં પણ નિષ્ફળ રહી કે કથિત ઘટના સમયે સ્થળ પર આરોપી પોલીસકર્મી હાજર હતા. ઉલ્લેખનીય છે કે, ત્રણે લોકો (મૃતક) હૈદરાબાદથી એક બસમાં મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યા હતા, જેમને ૨૨-૨૩ નવેમ્બર ૨૦૦૫ની વચ્ચેની રાત્રે એક પોલીસ ટીમે કથિત રીતે અટકાયતમાં લીધા અને દંપતીને એક વાહનમાં લઈ જવાયા, જયારે પ્રજાપતિને બીજા વાહનમાં લઈ જવાયો.
સીબીઆઈ મુજબ, સોહરાબુદ્દીન શેખનું ૨૬ નવેમ્બર ૨૦૦૫એ કથિત રીતે ગુજરાત અને રાજસ્થાન પોલીસની એક સંયુકત ટીમે એન્કાઉન્ટ કર્યું હતું અને ત્રણ દિવસ બાદ કૌસરબીની મારી નંખાઈ. પ્રજાપતિ ૨૭ ડિસેમ્બર ૨૦૦૬એ ગુજરાત-રાજસ્થાન સરહદ પર એક અથડામણમાં માર્યો ગયો હતો. સીબીઆઈએ આ મામલે ૩૮ લોકોને આરોપી બનાવ્યા હતા. ફરિયાદી પક્ષે ૨૧૦ સાક્ષીઓની પૂછપરછ કરી, જેમાંથી ૯૨ ફરી ગયા. જજ શર્માએ ૨૧ ડિસેમ્બરનો આદેશ તેમના કરિયરનો કદાચ છેલ્લો આદેશ હતો, કેમકે તેઓ ૩૧ ડિસેમ્બરે સેવાનિવૃત્ત થવા જઈ રહ્યા છે.(૨૧.૨)