Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસ કોઇ પાટીદારની નિમણૂંક કરશે

પાર્ટીની કમાન યુવાનોના હાથમાં: કોંગ્રેસ સૌરાષ્ટ્રમાંથી બે અગત્યના નેતાઓની પસંદગી કરશેઃ દલિત નેતાને ચીફ વ્હીપ તરીકે નીમશેઃ પક્ષના ડેપ્યુટી લીડર તરીકે ભિલોડાના ધારાસભ્ય : ડો. અનિલ જોશીયારા અથવા તો ખેડબ્રહ્માના અશ્વિન કોટવાલના નામની વિચારણા

નવી દિલ્હી તા. ૨૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ પક્ષની મીટીંગ ૪ અને ૫ જાન્યુઆરીએ યોજાય તેવી શકયતા છે. કોંગ્રેસના કર્તાહર્તા ચૂંટાયેલા ૭૭ ધારાસભ્યો સાથે મીટીંગ કરીને વિરોધપક્ષના નેતા અને ગુજરાતમાં પાર્ટીના ચીફ વ્હીપના નામ નક્કી કરશે. કોંગ્રેસ પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલીના ધારાસભ્ય અને પાટીદાર નેતા પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા બનવાની રેસમાં સૌથી આગળ દોડી રહ્યા છે. એ જ રીતે દાણીલીમડાના નેતા શૈલેશ પરમાર પાર્ટીના ચીફ વ્હીપ બને તેવી શકયતા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યા મુજબ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું લિસ્ટ કોંગ્રેસ પાસે તૈયાર છે. કોંગ્રેસે આ માટે ત્રણ યુવા નેતાઓ પર પસંદગી ઉતારી છે. કોંગ્રેસના બધા જ વરિષ્ઠ નેતાઓ ચૂંટણી જીતવામાં અસફળ ગયા હોવાથી પાર્ટીએ ગુજરાતમાં કોંગ્રેસની કમાન યુવા નેતાઓના હાથમાં સોંપવાનું નક્કી કર્યુ છે. વિધાનસભામાં કોંગ્રેસ પાસે ત્રણ મુખ્ય પોસ્ટ હશે- વિરોધ પક્ષના નેતા, વિરોધ પક્ષના ડેપ્યુટી નેતા અને ચીફ વ્હીપ તથા પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC)ના ચેરમેન.

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસે નક્કી કર્યું છે કે પાર્ટી પાટીદારને વિરોધ પક્ષના નેતા તરીકે અને દલિત નેતાને ચીફ વ્હીપ તરીકે નીમશે. જો કે પક્ષના ડેપ્યુટી લીડર તરીકે ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોશીયારા અથવા તો ખેડબ્રહ્માના MLA અશ્વિન કોટવાલના નામની વિચારણા થઈ રહી છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે પાર્ટી વિધાનસભામાં ડેપ્યુટી લીડરનો હોદ્દો કોઈ આદિવાસી નેતાને સોંપવા માંગે છે. પાર્ટી કોળી નેતાને પણ વિધાનસભામાં અગત્યનું સ્થાન આપવા માંગે છે. ભૂતપૂર્વ સાંસદ અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને PACના ચેરમેનનો હોદ્દો અપાય તેવી શકયતા છે. આ હોદ્દો અગાઉ શકિતસિંહ ગોહિલ સંભાળતા હતા.અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ સૌરાષ્ટ્રમાંથી બે અગત્યના નેતાઓની પસંદગી કરશે કારણ કે આ વખતે પાર્ટીને મહત્ત્।મ બેઠકો સૌરાષ્ટ્રમાંથી મળી છે. કોંગ્રેસે ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ૧૩ જેટલી બેઠકો જીતી હતી. સૌરાષ્ટ્રમાં કુલ ૫૪ બેઠકોમાંથી કોંગ્રેસના ફાળે ૩૦ બેઠકો આવી છે જયારે ભાજપ પાસે માત્ર ૨૩ જ બેઠકો આવી છે. ૨૦૧૨માં ભાજપ પાસે ૩૫ બેઠકો હતી જયારે કોંગ્રેસ પાસે માત્ર ૧૭ બેઠક હતી.કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું કે પાર્ટીના કર્તાહર્તા આવતા અઠવાડિયે આવશે અને કોંગ્રેસના ધારાસભ્યોનો આ હોદ્દાઓ અંગે અભિપ્રાય તથા બહુમતિ માંગશે. ત્યાર પછી કોને કઈ પોસ્ટ પર નિયુકત કરવા તેનો અંતિમ નિર્ણય પાર્ટીના હાઈકમાન્ડ લેશે.(૨૧.૧૩)

 

(11:24 am IST)