Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

પાકિસ્તાન પર હુમલો કરવા તહરીક-એ-તાલિબાનનો આદેશ

આતંકવાદી સંગઠને પાક. સાથે સંઘર્ષ વિરામ સમાપ્ત કર્યો : ટીટીપીની જાહેરાત બાદ પાકિસ્તાન સરકારે જો કે કોઈ પ્રતિક્રિયા નથી આપી પરંતુ સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે

ઈસ્લામાબાદ, તા.૨૯ : તહરીક-એ-તાલિબાન (ટીટીપી) એ પાકિસ્તાનમાં શાહબાઝ સરકાર સાથે સંઘર્ષ વિરામ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતની સાથે જ આ પ્રતિબંધિત આતંકવાદી સંગઠને તેના લડવૈયાઓને પાકિસ્તાનમાં ગમે ત્યાં હુમલો કરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ ટીટીપીની જાહેરાત બાદ પાકિસ્તાન સરકારે જો કે કોઈ પ્રતિક્રિયા નથી આપી પરંતુ સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. ટીટીપીએ પોતાના લડવૈયાઓને આ આદેશ એવા સમયે આપ્યો છે જ્યારે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ૧૭ વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર છે અને ૧ ડિસેમ્બરથી ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ શરૃ થવાની છે. આ સિવાય પાકિસ્તાનમાં નવા આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે પણ કાર્યભાર સંભાળી લીધો છે.

ટીટીપી જેને પાકિસ્તાની તાલિબાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે કહ્યું કે, તે પાકિસ્તાન સરકારના સતત હુમલાઓને કારણે યુદ્ધવિરામનો અંત લાવી રહી છે.  જૂનમાં બંને પક્ષો તેમના યુદ્ધવિરામને અનિશ્ચિત સમય સુધી લંબાવવા માટે સંમત થયા હતા. સોમવારે એક નિવેદનમાં ટીટીપીએ કહ્યું કે, મુજાહિદ્દીન (આતંકવાદીઓ) વિરૃદ્ધ વિવિધ વિસ્તારોમાં સૈન્ય કાર્યવાહી ચાલી રહી હોવાથી તમારા માટે જરૃરી છે કે, તમે દેશભરમાં જ્યાં પણ કરી શકો ત્યાં હુમલા કરો.

ટીટીપીએ તેના લડવૈયાઓને એવા સમયે પાકિસ્તાનમાં ગમે ત્યાં હુમલો કરવાનો આદેશ આપ્યો છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ૧૭ વર્ષ પછી પાકિસ્તાનની ધરતી પર તેની પ્રથમ ટેસ્ટ-સીરિઝ રમવાની છે. આ સિવાય કમર જાવેદ બાજવાની વિદાય બાદ નવા આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે પણ ચાર્જ સંભાળી લીધો છે. ટીટીપીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, સેના અને ગુપ્તચર એજન્સીઓ અટક્યા નથી અને અમારા પર તેમના હુમલાઓ ચાલુ રાખ્યા છે. હવે અમારા વળતા હુમલા પણ દેશભરમાં શરૃ થશે.

તહરીક-એ-તાલિબાન (ટીટીપી)ને પાકિસ્તાન તાલિબાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક એવું સંગઠન છે જેમાં અનેક આતંકવાદી જૂથો સામેલ છે. તેની રચના ૨૦૦૭માં થઈ હતી. ટીટીપીપાકિસ્તાનમાં ઈસ્લામિક ખિલાફત સ્થાપવા માંગે છે.

(7:19 pm IST)