Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

એરલાઇનના બાકી લેણા તેની સિકયોરિટી ડિપોઝીટની ૮૦ ટકા મર્યાદા કરતા વધી જતા સ્પાઇસ જે ટને રૂ.૨૦ કરોડ ચુકવવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાનો આદેશ

મુંબઇ:એરપોર્ટ ઓથોરિટી ઓૅફ ઇન્ડિયા (AAI) અજય સિંહના અંકુશ હેઠળની એરલાઇન સ્પાઇસજેટને 30 નવેમ્બર સુધીમાં રૂ.20 કરોડ ચૂકવવા આદેશ આપ્યો હતો. ઓથોરિટીએ દાવો કર્યો હતો કે એરલાઇનના બાકી લેણાં તેની સિક્યોરિટી ડિપોઝીટની 80 ટકા મર્યાદા કરતાં વધી ગયા છે. કંપનીએ જમા કરાવેલી રૂ.104 કરોડની સિક્યોરિટી ડિપોઝીટની સામે લેન્ડિંગ, પાર્કિંગ અને રૂટ નેવિગેશન ચાર્જીસ પેટે બાકી લેણાં રૂ.117 કરોડ થયા છે.

ઉપરાંત એરલાઇનને તેના બાકી લેણાંના ઝડપી ક્લિયરન્સ માટે પ્રતિ દિન બિલિંગની સામે ઓછામાં ઓછા રૂ.2.5 કરોડની ચૂકવણી કરવા પણ જણાવવામાં આવ્યું છે. જો કંપની નિયમ તારીખ સુધીમાં રૂ.20 કરોડ નહીં ચૂકવી શકે તો તેણે બિલિંગ સામે ચૂકવવાની થતી લઘુતમ રકમ રૂ.2.5 કરોડને બદલે રૂ.3.5 કરોડ ચૂકવવી પડશે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમ પ્રમાણે તમામ એરલાઇન્સે તેમના બાકી લેણાં સરકારી માલિકીના એરોડ્રોમ ઓપરેટર પાસે જમા સિક્યોરિટી ડિપોઝીટનાં 80 ટકાથી નીચે રાખવા જોઇએ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અમે મંગળવારે સ્પાઇસજેટને નોટિસ મોકલીને 30 નવેમ્બર સુધીમાં રૂ.20 કરોડ ચૂકવવા આદેશ આપ્યો છે કારણ કે તેનાં બાકી લેણાં સિક્યોરિટી ડિપોઝીટના 80 ટકાની મર્યાદા વટાવી ચૂક્યા છે.

સંપર્ક સાધવામાં આવતા સ્પાઇસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “એરલાઇન દ્વારા એરપોર્ટ ઓથોરિટી અને અન્ય વેન્ડર્સને નિયત સમયપત્રક પ્રમાણે પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે. અમે અમારી તમામ જવાબદારીઓ પૂરી કરવા માટે પ્રતિબધ્ધ છે.

ગુરૂગ્રામ સ્થિત નો-ફ્રીલ્સ એરલાઇન 57 સ્થળોએ દૈનિક 446 ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે. કંપનીએ ઇંધણ ખર્ચમાં વધારો અને વિદેશી હૂંડિયામણની ખોટને કારણે સપ્ટેમ્બર મહિનામાં પૂરા થયેલા ત્રિમાસિક સમયગાળામાં રૂ.389.37 કરોડની ખોટ કરી હતી. કંપનીએ અગાઉના નાણાંકીય વર્ષનાં સમાન સમયગાળામાં રૂ.105.27 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.

મુંબઇ શેરબજાર પર સ્પાઇસજેટનો શેર 3.36 ટકા ઘટીને રૂ.79.10 બંધ રહ્યો હતો. દરમિયાન, એએઆઇએ નોટિસ જારી કર્યા પછી એક્સચેન્જે સ્પાઇસજેટ પાસેથી ખુલાસો માગ્યો હતો.

 

 

 

(4:42 pm IST)