Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

ચૂંટણી પરિણામો ઉપર પાટીદાર ફેકટર નિર્ણાયક બનશે

ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થશે પાટીદારોની એકતાઃ અમરેલી - જુનાગઢ - રાજકોટ - ભાવનગર - મધ્ય અને દ.ગુજરાતમાં લેઉવા પાટીદારો વધુઃ શા માટે ઉઠી અનામતની માંગણી

નવી દિલ્હી તા. ૨૯ : વર્ષ ૨૦૧૦માં લેઉવા પાટીદારો દ્વારા સમાજની એકતા માટે સામાજિક કાર્યક્રમો પર થતા ખર્ચ ઘટાડવા માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. જો કે સમાજનો પ્રથમ હેતુ સમાજના કુળદેવી માતા ખોડિયારના ભવ્ય મંદિરનું નિર્માણ કરવાનું હતું. આ મંદિરના નિર્માણ માટે રાજકોટના કાગવડમાં જગ્યા પસંદ કરવામાં આવી. જાન્યુઆરીમાં ૫ દિવસના પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ જેમાટે ૨૦ લાખ શ્રદ્ઘાળુઓ ઉમટી પડ્યા હતા ખોડલધામ શ્રદ્ઘાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જો પાટીદારોની શકિત અને એકતા બાબતે કોઈ શંકા હોય તો તેમાટે આ કાર્યક્રમ એક સારું શકિત પ્રદર્શન હતું.

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું હતું કે, 'ગુજરાતમાં લગભગ ૧ કરોડ લેઉવા પાટીદારો છે, જો કે અમે સમાજની વસતીનો ચોક્કસ ડેટા મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર અને મધ્ય-દક્ષિણ ગુજરાતમાં લેઉવા પાટીદારોની વસતી વધુ છે.' જે પૈકી ૬૦ ટકા પાટીદારો એવા છે કે જેઓ વાર્ષિક ૨ લાખ કરતા ઓછું કમાય છે. માત્ર ૨૦ ટકા જેટલા લોકો જ ધનવાન છે. હું પણ એક ફૂલ વેચનાર જ હતો.

ગજેરાએ કહ્યું કે, 'ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અનામતનો પ્રશ્ન અને આંદોલન એટલા માટે ઉભા થયા હતા કે લોકોને નોકરી નહોતી મળી શકી રહી, ખેતીની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. પાટીદારો સામે આ સમસ્યા એક પડકાર હતી. તેથી જ અમારો સમાજ આંદોલનમાં જોડાયો હતો.' આંદોલનની અસર નગરપાલિકાની ચૂંટણીઓમાં જોવા મળી હતી. પાટીદાર ખેડૂતો કપાસના ઓછા ભાવોને કારણે ઘણા ત્રસ્ત છે. તેમજ શહેરના દુકાનદારોને નોટબંધી અને GSTના કારણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં પણ આંદોલનની અસર જોવા મળશે અને સરકારને નુકસાન તો વેઠવું જ પડશે.

ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી હંસરાજ ગજેરાએ કહ્યું હતું કે, 'એ કહેવું મુશ્કેલ છે કે પાટીદાર આંદોલનની ચૂંટણી પર કેટલી અસર થશે? અસર તો જરુર થશે, પરંતુ હાર્દિકની કથિત સેકસ સીડીને બહાર આવવાને કારણે આ અસર ઓછી પણ થઈ શકે.' તેમણે કહયું કે કદાચ બંધારણીયરીતે અનામત મેળવવું શકય ન બને. તેમણે કહ્યું કે, 'સિદસર, ઉમિયાધામ અને ખોડલધામ સંસ્થાઓ સમાજના લોકોને એકત્રિત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ખોડલધામનો હેતુ માત્ર મંદિરના નિભાવ પૂરતું જ મર્યાદિત નથી. આ સંસ્થા એક શૈક્ષણિક સંસ્થા તરીકે પણ જાણીતી બને તેવો હેતુ પણ છે. જેનો લાભ માત્ર પાટીદાર સમાજને જ નહીં પરંતુ અન્ય સમાજોને પણ મળી શકે. અમે નક્કી કર્યુ છે કે જે વ્યકિત ચૂંટણી લડવા માગે છે તેણે ટ્રસ્ટમાંથી રાજીનામું આપવું પડશે.'

ગજેરાએ કહ્યું કે, '૨૧ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ ૫,૦૯,૦૦૦ લોકોએ એકસાથે રાષ્ટ્રગાન ગાઈને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ સજર્યો હતો. ખોડલધામમાં ૨૪ એકર વિસ્તારમાં ૪૩.૫ લાખ લોકોને જમાડવાની સુવિધા છે જેમાટે ૧૨૯ કાઉન્ટર્સ પણ લગાવાયા છે. રસોડામાંથી સર્વિંગ એરિયા સુધી સામાન લાવવા માટે ૪૦ મીની-ટ્રેકટર્સનો ઉપયોગ કરાયો હતો. ૫ દિવસના આ કાર્યક્રમમાં બધી જ સુવિધાઓ પર દેખરેખ રાખવા માટે ૮૦ હજાર સ્વયંસેવકો કામ કરે છે.' તેમણે કહ્યું કે, 'હાલમાં જ સમાજના સમૂહ લગ્નમાં ૫૨૧ વર-વધુની જોડીએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ કાર્યક્રમમાં પણ ૨.૨૫ લાખ લોકોએ હાજરી આપી હતી.'

જેતપુરમાં એક સમયે BJPની મજબૂત પકડ હતી. BJPએ ૧૯૯૦થી ૨૦૦૭ સુધી આ સીટ પર પોતાનો કબજો જમાવી રાખ્યો હતો. સાવજી કોરાટ આ સીટ પરથી ત્રણ વખત વિજય થયા હતા. જયારે તેમના પત્ની જશુબેન આ સીટ પરથી વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૭ એમ બે વખત ચૂંટાઈને આવ્યા હતા. જો કે જયેશ રાદડિયાએ કોંગ્રેસની ટિકિટ પરથી જશુબહેનને વર્ષ ૨૦૧૨માં હરાવી દીધા હતા. જો કે જયેશ રાદડિયા અને તેમના પિતા વિઠ્ઠલ રાદડિયા બન્નેએ વર્ષ ૨૦૧૩માં પક્ષપલટો કરીને BJP સાથે જોડાઈ ગયા હતા. જયેશ ફરીવાર યોજાયેલી પેટાચૂંટણીમાં પણ જીત્યા હતા. આ વખત જયેશ BJPની ટિકિટ પર ખોડલધામના ટ્રસ્ટી જયેશ અંબાલિયા સામે લડશે.

એક પોલિટિકલ એકિટવિસ્ટે આપેલી માહિતી અનુસાર આ વિસ્તારમાં ૩૩ ટકા લેઉવા પાટીદારો છે. જો આ સંખ્યામાં કડવા પાટીદારોની સંખ્યા ઉમેરવામાં આવે તો આ સંખ્યા વિસ્તારની કુલ વસતીના ૩૮ ટકા જેટલી થાય છે. પાટીદાર અનામત આંદોલનના નેતાઓ સાથે વાતચીત કરવા માટે તત્કાલીન CM આનંદીબેન પટેલ દ્વારા વિઠ્ઠલ રાદડિયાને જવાબદારી સોંપાઈ હતી. તેઓ હાર્દિકને મળવા માટે સુરત જેલમાં પણ ગયા હતા.

ખોડલધામના ટ્રસ્ટી અને કોંગ્રેસના જેતપુરના ઉમેદવાર રવિ અંબાલિયાએ કહ્યું કે, 'આ સીટ પર આશરે ૨.૫૨ લાખ મતદારો છે, જે પૈકી ૯૦ હજાર પાટીદારો, ૪૨ હજાર ખાંટ, ૧૮ હજાર કોળી અને ૧૨ હજાર મુસ્લિમો છે.' તેમણે કહ્યું કે આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા પીવાના પાણીની છે. તેમણે કહ્યું કે, 'અમને ભાદર ડેમમાંથી દર ત્રીજા-ચોથા દિવસે પાણી મળતું હતું. પોલીસ અને સરકારના પાટીદારો પર કરાયેલા અત્યાચારો અને ખેડૂતોના ગુસ્સાને કારણે આ સીટ પર પાટીદાર આંદોલનની જબરદસ્ત અસર થશે.'

જયારે જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, 'આ વિસ્તારમાં પાટીદાર આંદોલનની અસર બિલકુલ નહીં હોય. હું મારા વિકાસકાર્યો પર વોટ માગીશ.' નોંધનીય છે કે રાદડિયા અને અંબાલિયા બન્ને લેઉવા પાટીદારો છે.(૨૧.૬)

 

(11:29 am IST)