Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

રામ જન્મભૂમિ પર વહેલી તકે મંદિર નિર્માણ જરૂરી છે

સુપ્રીમના ચુકાદા બાદ સંઘ દ્વારા પણ પ્રતિક્રિયા : જન્મસ્થળ ઉપર મંદિર નિર્માણને લઇને વહેલીતકે જમીન મળવી જોઇએ : અડચણો હોય તો સરકાર કાયદો બનાવે

નવી દિલ્હી, તા. ૨૯ : રામ મંદિર બાબરી મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટના નવેસરના ચુકાદા બાદ રાજકીય ગરમી વધી ગઈ છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પણ નિવેદન કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ મામલાની સુનાવણી ત્રણ મહિના માટે ટાળી દેવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સંઘનું પણ નિવેદન આવ્યું છે. સંઘનું કહેવું છે કે, રામ જન્મભૂમિ ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ થવું જોઇએ. વહેલીતકે મંદિર નિર્માણ થવું જોઇએ. સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરુણ કુમાર દ્વારા આ નિવેદન કરવામાં આવ્યું છે. અરુણ કુમારનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એવી કબલાત કરી હતી કે, ઉપરોક્ત સ્થાન રામલલ્લાના જન્મસ્થાન તરીકે છે. તથ્યો અને સાક્ષીઓના આધાર પર પણ આ બાબત સાબિત થઇ ચુકી છે. મંદિર તોડીને કોઇ માળખુ તૈયાર કરવાના પ્રયાસ થયા હતા. ભુતકાળમાં ત્યાં મંદિરનું અસ્તિત્વ હતું. અરુણ કુમારનું કહેવું છે કે, રામ જન્મભૂમિ ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ બનવું જોઇએ. જન્મ સ્થાન પર મંદિર નિર્માણ માટે ભૂમિ મળવી જોઇએ. મંદિર બનવાથી દેશમાં સદ્ભાવના અને એકતાની ભાવના જન્મ લેશે. આ દ્રષ્ટિથી સુપ્રીમ કોર્ટ વહેલીતકે નિર્ણય કરે અને જો કોઇ તકલીફ છે તો સરકાર કાયદો બનાવીને મંદિર નિર્માણની દિશામાં આગળ વધી શકે છે. અડચણોને દૂર કરીને શ્રી રામજન્મભૂમિ ન્યાસને જમીન સોંપી દેવી જોઇએ. જ્યારે આંદોલનની શરૂઆત થઇ હતી ત્યારે પૂજ્ય સંતો અને ધર્મ સંસદના નેતૃત્વમાં આંદોલન ચાલ્યું હતું. તે વખતે અમે સમર્થન કર્યું હતું. આગળ પણ અમારુ સમર્થન રહેશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદથી હિન્દુ સંગઠનોમાં નારાજગી જોવા મળી રહી છે. સુનાવણીની તારીખને લઇને હજુ સસ્પેન્સ છે.  સુપ્રીમની બેંચ જાન્યુઆરીમાં આ બાબત નક્કી કરશે કે સુનાવણી જાન્યુઆરીમાં થાય કે પછી ફેબ્રુઆરી કે માર્ચમાં થાય. વહેલી તકે સુનાવણીની દલીલ ઉપર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમારી પ્રાથમિકતા છે કે, વહેલીતકે આમા નિર્ણય લેવામાં આવશે.

(7:53 pm IST)