Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

સસ્તા ભાડા સાથે લેટનાઇટ ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી

એર ઇન્ડિયા દ્વારા ૩૦મી નવેમ્બરથી શરૂઆત : અમદાવાદ-બેંગ્લોરની વચ્ચે પણ લેટનાઇટ ફ્લાઇટ શરૂ કરાશે : અમદાવાદથી ૩.૫ વાગે ફ્લાઇટ ટેકઓફ કરશે

નવીદિલ્હી, તા. ૨૮ : સસ્તા ભાડાવાળી લેટનાઇટ ફ્લાઇટ શરૂ કરવા એર ઇન્ડિયા દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. આના કારણે વિમાની યાત્રા મોંઘી હોવાને લઇને પરેશાન રહેલા વિમાની યાત્રીઓને મોટી રાહત મળી શકે છે. એર ઇન્ડિયાના આ નિર્ણયથી વિમાની યાત્રીઓની સંખ્યામાં વધારો થવાની પણ સંભાવના છે. સરકારે એરલાઈન કંપનીએ લેટનાઇટ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આને રેડઆઈ ફ્લાઇટ પણ કહેવામાં આવે છે. આ ફ્લાઇટને સ્થાનિક રુટ ઉપર શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. દિલ્હી-ગોવા-દિલ્હી, દિલ્હી-કોઇમ્બતુર-દિલ્હી, બેંગ્લોર-અમદાવાદ-બેંગ્લોર રુટ ઉપર ૩૦મી નવેમ્બરથી નિયમિતરીતે લેટનાઇટ ફ્લાઇટ શરૂ કરવામાં આવનાર છે. એરલાઈન્સ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એર ઇન્ડિયા ૮૮૩ ફ્લાઇટ ૧૦ વાગે દિલ્હીથી રવાના થશે અને ૧૨.૩૫ વાગે ગોવા પહોંચશે. ત્યારબાદ રિટર્ન ફ્લાઇટ એઆઈ ૮૮૪ ૧.૧૫ વાગે ટેકઓફ કરીને સવારે ૩.૪૦ વાગે દિલ્હી પહોંચશે. એઆઈ-૫૪૭ રાહતમાં ૯.૧૫ પર દિલ્હીથી રવાના થશે અને ૧૨.૩૦ વાગે કોઇમ્બતુરમાં ઉતરાણ કરશે. ત્યારબાદ રિટર્ન ફ્લાઇટ એઆઈ-૫૪૮ રાત્રે એક વાગે કોઇમ્બતુરથી રવાના થઇને સવારે ૪ વાગે દિલ્હી પહોંચશે.

આ ઉપરાંત એઆઈ-૫૮૯ બેંગ્લોથી ૧૨.૩૦ વાગે ટેકઓફ કરીને ૨.૩૫ વાગે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ રિટર્ન ફ્લાઇટ અમદાવાદથી સવારે ૩.૦૫ વાગેરવાના થશે અને સવારે ૫.૨૫ વાગે બેંગ્લોર પહોંચશે. લેટનાઇટ ફ્લાઇટ મારફતે સસ્તી સેવા વિમાની યાત્રીઓને મળી શકશે.

(12:00 am IST)