Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

બાઈકરનાં મોત કેસમાં બે મિત્રો અને પત્નીની ધરપકડ

જેસલમેરમાં ચોંકાવનારી મર્ડર મિસ્ટ્રી સામે આવી : જેસલમેર રાઈડ માટે ગયેલો બાઈકર રણમાં રસ્તો ભૂલી ગયો હોઈ તરસથી મૃત્યુ પામ્યો હોવોનું જણાવાયું હતું

જેસલમેર, તા.૨૯ : રાજસ્થાનના જેસલમેરમાં એક ચોંકાવનારી મર્ડર મિસ્ટ્રી સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્રણ વર્ષ પહેલા ઈન્ટરનેશનલ બાઇક સવારની જે મોતને સામાન્ય માનીને કેસ પતાવાની તૈયારી હતી ત્યારે જ એક નવો વળાંક આવી ગયો. હવે રાજસ્થાન પોલીસ આ કેસની તપાસ પ્લાન્ડ મર્ડર ઈન્વેસ્ટિગેટ કરી રહી છે.

ત્રણ વર્ષ પહેલા ઈન્ટરનેશનલ બાઇકર અસબક સોમ (૩૪) ઇન્ડિયન બાજા મોટરસ્પોર્ટ્સ ડાકાર ચેલેન્જ રેલી દરમિયાન જેસલમેર આવ્યા હતા અને અહીં તેમનું મોત થયું. જાણવા મળ્યું છે કે ૧૫ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ સોમવારે શાહગઢ બલ્જ પર રાઇડિંગ ટ્રેક જોયા બાદ અસબાક અને તેના મિત્રો ૧૬ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ રાઇડ માટે બહાર ગયા હતા. માહિતી અનુસાર તે બધા અલગ થઈ ગયા અને રસ્તો ભૂલી ગયા. પરંતુ થોડાવાર પછી અસબાક સિવાય બધા પરત આવી ગયા. લગભગ બે દિવસ પછી અસબાકનો મૃતદેહ મળી આવ્યો. તેની બાઇક સ્ટેન્ડ પર પાર્ક હતી અને તેના પર હેલ્મેટ મૂકેલું હતું. જે સ્થળે લાશ મળી હતી ત્યાં મોબાઇલ નેટવર્ક ઉપલબ્ધ નથી.

જેસલમેરના એસપી અજય સિંહના જણાવ્યા અનુસાર, ત્રણ વર્ષ પહેલા થયેલા આ મોતના કેસમાં પોલીસે આ કેસનો અંતિમ અહેવાલ તૈયાર કર્યો હતો. આમાં, મૃતકની પત્ની અને મિત્રોના નિવેદનમાંથી જાણવા મળ્યું કે અસબાક પોતાની બાઇક રાઇડિંગ પ્રેક્ટિસ દરમિયાન જેસલમેરના રણમાં રસ્તો ભટકી ગયો હતો. તે ડિહાઈડ્રેશન અથવા તરસથી મૃત્યુ પામ્યો હશે. તેથી પોલીસે કુદરતી કારણોસર તેનું મોત થયું હશે તેવું માની લીધું હતું.

એસપીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય બાઈકર અસબાક કેરળના કન્નૂરનો રહેવાસી છે. તે થોડા વર્ષોથી બેંગલુરુના આરટી નગરમાં રહેતો હતો. આ કેસમાં મૃતકના ભાઈ અને તેની માતાએ હત્યાના કાવતરાનો આરોપ લગાવ્યો હતો. આ સંશોધન થયા પછી શંકાની સોય હત્યા તરફ વળી. જેમાં પોલીસે સોમવારે બેંગલુરુથી અસબાકના બે મિત્રોની અને બાઈકરની પત્નીની હત્યાનું ષડયંત્ર રચવા બદલ ધરપકડ કરી છે.

એસપી અજય સિંહના જણાવ્યા અનુસાર, અસબાક તેની પત્ની સુમેરા પરવેઝ અને પાંચ મિત્રો સંજય, વિશ્વાસ, નીરજ, સબીક અને સંતોષ સાથે રેલીમાં ભાગ લેવા માટે જેસલમેર આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે અસબાકના તેની પત્ની સાથે અનેક મુદ્દે વિવાદની વાત પણ સામે આવી છે. તે બેંગ્લોર શિફ્ટ થતા પહેલા દુબઈમાં રહેતો હતો. એસપી સિંહે જણાવ્યું કે હત્યાના દિવસે અસબાકના મિત્ર સંજય સૌથી પહેલા સ્થળ પર પહોંચ્યા અને ત્યાંથી અસબાકનો મોબાઈલ અને અન્ય વસ્તુઓ લઈ ગયા હતા. હાલ સમગ્ર મામલે આગળની કાર્યવાહી ચાલી રહી છે.

(7:38 pm IST)