Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

૩૭૦ના સમર્થકોને લોકો જોડા મારશે

જમ્મુ-કાશ્મીરના રાજયપાલનું વિવાદિત નિવેદન

શ્રીનગર, તા.૨૯: જમ્મૂ-કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે આર્ટિકલ ૩૭૦ હટાવ્યાનો વિરોધ કરી રહેલા વિપક્ષના નેતાઓ વિશે આપત્તિજનક નિવેદન આપ્યું છે. મલિકે બુધવારે શ્રીનગરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, જયારે દેશમાં ચૂંટણી આવશે ત્યારે આ નેતાઓના વિરોધીઓને કંઈ કહેવાની જરૂર નહીં હોય, જો તેઓ કહેશે કે તે (વિપક્ષના નેતા) ૩૭૦ના સમર્થક છે તો લોકો તેમને જૂતાથી મારશે.

આ ઉપરાંત તેમણે કોંગ્રેસના નેતાના રાહુલ ગાંધી પર પણ નિશાન તાકયું. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, 'હું તેમના માટે કંઈ કહેવા નથી માગતો. તે એક પ્રતિષ્ઠિત પરિવારનો હિસ્સો છે. પણ કાશ્મીર મુદ્દે તેમણે રાજકીય રીતે પોતાનું નાદાની જાહેર કરી છે. આ જ કારણ છે કે, તેમના નિવેદનોનો હવાલો પાકિસ્તાને UNના મોકલેલ પોતાની ચિઠ્ઠીમાં આપ્યો છે.'

તેમણે આગળ કહ્યું, 'જો તે લીડર હોત તો જે સમયે તેમની પાર્ટીના નેતા (અધીર રંજન ચૌધરી) કાશ્મીરના સવાલને યુએન સાથે જોડી રહ્યાં હતા ત્યારે રાહુલે તેમને ઠપકો આપવો જોઈતો હતો અને બેસાડીને નિવેદન આપવું જોઈતું હતુ. તેમનું તો કાશ્મીર મુદ્દે સ્ટેન્ડ જ સ્પષ્ટ નથી.'રાજયપાલે કહ્યું કે, 'હું તમને જણાવી દઉં કે જે સમયે દેશમાં ચૂંટણી આવશે, ત્યારે આના વિરોધીઓને કંઈ કહેવાની જરૂર નહીં પડે. તે બસ કહી દેશે કે, આ ૩૭૦ના હિમાયતી છે, લોકો જૂતાથી મારશે.'

જણાવી દઈએ કે, આ પહેલા કાશ્મીર આવીને સ્થિતિનો તકાજો લેવા અંગે પણ રાહુલ ગાંધી અને રાજયપાલ વચ્ચે શાબ્દિક જંગ છેડાયો હતો. જોકે, ગત સપ્તાહે વિપક્ષના નેતાઓ સાથે કાશ્મીર ગયેલા રાહુલ ગાંધીને એરપોર્ટથી જ પરત મોકલી દેવાયા હતા.

ઉમર અબ્દુલ્લા, મહબૂબા મુફતી જેવા નેતાઓની નજરબંધી સાથે જોડાયેલા સવાલના જવાબમાં ગવર્નર મલિકે કહ્યું કે, નેતા છે તો જેલ જશે જ અને તેઓ આના રાજકીય લાભ પણ ઉઠાવશે. તેમણે કહ્યું, શ્નશું તમે નથી ઈચ્છતા કે, તેઓ નેતા બને? હું ૩૦ વખત જેલ ગયો છું. જે જેલ જશે તે નેતા બનશે. તેમને અત્યારે ત્યાં જ રહેવા દો. જયારે ચૂંટણી આવશે ત્યારે તેઓ કહેશે કે, હું ૬ મહિના જેલમાં રહ્યો, હું આટલો સમય જેલમાં રહ્યો. તેઓ આનો રાજકીય ફાયદો ઉઠાવશે.

(3:23 pm IST)