Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ખતરામાં પડી શકે છે તમારે કેશલેસ સારવારની સુવિધા?

સરકારની ૫ લાખની મફત હેલ્‍થ કવર આપવાની આયુષ્‍યમાન યોજના પર પણ સંકટના વાદળો ઘેરાતા દેખાઇ રહ્યા છે : માત્ર ૧૨૦૦ હોસ્‍પિટલોએ જ કરાવ્‍યું છે સર્ટિફિકેશન

નવી દિલ્‍હી તા. ૨૯ : તમારી કેશલેસ સારવાની સુવિધા ખતરામાં પડી શકે છે. સરકારની ૫ લાખની મફત હેલ્‍થ કવર આપવાની આયુષ્‍યમાન યોજના પર પણ સંકટના વાદળો ઘેરાતા દેખાઈ રહ્યા છે. હકીકતમાં, ઈન્‍સ્‍યોરન્‍સ રેગ્‍યુલેટરી એન્‍ડ ડિવલપમેન્‍ટ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (આઈઆરડીએઆઈ)ના એક નોટિફિકેશન મુજબ, જો આ વર્ષે જુલાઈ સુધી દેશની કોઈપણ હોસ્‍પિટલ નેશનલ એક્રિડેશન બોર્ડ ફોર હોસ્‍પિટલ્‍સ (એનએબીએચ)ની માન્‍યતા નહીં લે તો ત્‍યાં હેલ્‍થ ઈન્‍સ્‍યોરન્‍સ દ્વારા કેશલેસ સારવારની સુવિધા નહીં મળી શકે. કોઈપણ વીમા કંપની આવા હોસ્‍પિટલોમાં આ સુવિધા નહીં આપે.

આઈઆરડીએઆઈએ આ નોટિફિકેશન લગભગ બે વર્ષ પહેલા બહાર પાડ્‍યું હતું, પરંતુ દેશની મોટાભાગની હોસ્‍પિટલોએ તેના પર ધ્‍યાન નહોંતું આપ્‍યું. તેનું જ પરિણામ છે કે, અત્‍યાર સુધી દેશની લગભગ ૩૦ હજાર નાની-મોટી હોસ્‍પિટલોમાંથી માત્ર ૧૨૦૦એ એનએબીએચની માન્‍યતા લીધી છે. સૂત્રોનું કહેવું છે કે, જો બાકીની હોસ્‍પિટલોએ જુલાઈના અંત સુધીમાં પોતાનું સર્ટિફિકેશન નહીં કરાવ્‍યું હોય તો ત્‍યાં ઈન્‍સ્‍યોરન્‍સ દ્વારા કેશલેસ સારવારની સુવિધા નહીં મળે.

હકીકતમાં, એનએબીએચની માન્‍યતા લેવાથી હોસ્‍પિટલો કતરાય છે. તેનુ કારણ એ છે કે, તેના માટે આ સંસ્‍થાના માપદંડો મુજબ હોસ્‍પિટલમાં જરૂરી ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, સ્‍ટાફ અને તમામ સુવિધાઓની વ્‍યવસ્‍થા કરવાની હોય છે. તેના પર થનારા ખર્ચને કારણે મધ્‍યમ અને નાની હોસ્‍પિટલો એનએબીએચમાં સર્ટિફિકેશન નથી કરાવતી. સૂત્રોનું કહેવું છે કે, આઈઆરડીએઆઈ પાસેથી વધુ સમય મળ્‍યા બાદ પણ એ વાતની કોઈ ગેરંટી નથી કે દેશની મોટાભાગની હોસ્‍પિટલો એનએબીએચની માન્‍યતા મેળવી લેશે. એવામાં આયુષ્‍યમાન યોજનાના લાભાર્થીઓ અને અન્‍ય લોકોની મુશ્‍કેલીઓ વધવાની આશંકા છે.

ઉલ્લેખનીય છે કે, સરકારે તાજેતરમાં જ દેશના ૧૦ કરોડ ગરીબ પરિવારોને ૫ લાખ રૂપિયાનું હેલ્‍થ કવર આપવાની યોજનાને મંજૂરી આપી છે. તેને આ વર્ષે ૧૫ ઓગસ્‍ટે લોન્‍ચ કરવાની યોજના છે. સરકારે તે અંતર્ગત કેશલેસ સારવારની સુવિધા આપવાનું વચન આપ્‍યું છે. પરંતુ. જો આ યોજનાના પેનલમાં સામેલ હોસ્‍પિટલો પાસે એનએબીએચની માન્‍યતા નહીં હોય તો ત્‍યાં રૂપિયા વિના સારવાર નહીં થઈ શકે. તેનાથી દેશના ગરીબ લોકોને મફત હેલ્‍થ કવર આપવાની યોજના પોતાનો હેતુ ગુમાવી દેશે. સ્‍થિતિને જોતા મિશન આયુષ્‍યમાને આઈઆરડીએઆઈને પત્ર લખીને હોસ્‍પિટલોને એનએબીએચની માન્‍યતા લેવા માટે વધુ સમય આપવાની માગ કરી છે.

(10:55 am IST)