Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

મોદીની સિંહગર્જના... પૂર્ણ બહુમતિ સાથે સરકાર રચવા જઈ રહ્યા છીએ

દેશની જનતાએ મન બનાવી લીધુ છેઃ ૩૦૦થી વધુ બેઠકો મળશેઃ ભાજપ-એનડીએ ૨૦૧૪ કરતા પણ સારો દેખાવ કરશેઃ વિપક્ષ ૨૦૧૯ છોડી ૨૦૨૪ની ચિંતા કરેઃ મહાગઠબંધન મહામિલાવટવાળુ છે સફળ નહિ થાયઃ પાકિસ્તાને આતંકવાદ છોડવો જ પડશેઃ મારી દેશભકિત ઉપર કોઈ સવાલ ઉઠાવી જ ન શકેઃ અભિનંદન જ્યાં સુધી પાકિસ્તાનમાં હતો ત્યારે વિપક્ષે ષડયંત્ર રચ્યુ હતું: પુલવામા અંગે બળાપા કાઢતા વિપક્ષોએ દેશહિત અંગે નથી વિચાર્યુઃ ટીવી ચેનલને વડાપ્રધાન મોદીની મુલાકાત

નવી દિલ્હી, તા. ૨૯ :. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિપક્ષો ઉપર પ્રહારો ચાલુ છે. આ દરમિયાન એક ખાનગી ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ ફરી કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યો છે. આ મુલાકાતમાં પીએમ મોદીએ લોકસભાની ચૂંટણી, રાફેલ સોદો, ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન, મૈ ભી ચોકીદાર અભિયાન સાથે જોડાયેલા તમામ સવાલોના બેધડક જવાબ આપ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ હતુ કે વિપક્ષે હવે ૨૦૨૪ની તૈયારી શરૂ કરવી જોઈએ કારણ કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે દેશના લોકોએ મન બનાવી લીધુ છે. તેમણે કહ્યુ હતુ કે દેશની જનતા જો વિપક્ષના તમામ નિવેદનોને ભેગા કરી જુવે તો ખુદ નિર્ણય લઈ લેશે કે આ લોકોના હાથમાં દેશની સત્તા કદી જવી ન જોઈએ. તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે એનડીએને પૂર્ણ બહુમત મળશે એટલુ જ નહિ ૩૦૦થી વધુ બેઠકો મળશે.

વડાપ્રધાન મોદીએ પુલવામાના હુમલા પર કહ્યુ હતુ કે એ સમયે હું ઉત્તરાખંડમાં હતો. તે સમયે ત્યાં ભારે વરસાદ થતો હતો. ત્યાં મારી એક રેલી હતી જેને મે ફોનથી સંબોધીત કરી હતી પરંતુ આટલી મોટી રેલીમાં આટલા મોટા સમાચારોની ચર્ચા કરી ન શકાય. એ સ્થિતિમાં અત્યંત સંતુલીત વ્યવહાર કરવો પડે. જો કોઈ તેને મુદ્દો બનાવે તો તે એ લોકોની રાજકીય અણસમજ છે. પુલવામા બાદ મારૂ માનવુ હતુ કે એવે સમયે દેશની આશાને અનુરૂપ આપણો વ્યવહાર હોવો જોઈએ તેથી જ સેનાને અમે ખુલ્લી છુટ આપી દીધી હતી.

શું લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીને કોઈ નેતા તરફથી આકરી ટક્કર મળી શકે છે ? તે પર પીએમ મોદીએ કહ્યુ હતુ કે જુઓ ૨૦૨૪ની ચૂંટણીમાં લોકો સમક્ષ આ વિકલ્પ હોઈ શકે છે પરંતુ ૨૦૧૯માં દેશની જનતાની સામે કોઈ વિકલ્પ નથી. લોકોએ એક તરફી મન બનાવી લીધુ છે. દેશની જનતા કોઈ તુલનાત્મક ચહેરાની તલાશમાં નથી. મારૂ માનવુ છે કે ચુંટણીમાં કેન્દ્રમાં મતદાર હોય છે.

રાફેલ અંગે રાહુલ ગાંધીના આરોપ પર પીએમ મોદીએ કહ્યુ હતુ કે આપણા દેશમાં સંરક્ષણ સોદા અગાઉની સરકારનું એટીએમ રહ્યુ છે. તેઓ વિચારી જ નહોતા શકતા પારદર્શિતા અને ભ્રષ્ટાચાર વગર સંરક્ષણ સોદા થઈ શકે છે. એટલે જ વિપક્ષ હેરાન પરેશાન થાય છે.

શું એનડીએને પૂર્ણ બહુમતી મળશે ? તેવા સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે હું માનુ છું કે ભાજપને ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મળશે અને પહેલાથી વધુ બેઠકો મળશે. ૨૦૧૯માં અમે પૂર્ણ બહુમતીથી સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યુ હતુ કે મારો અનુભવ કહે છે કે અગાઉની સરખામણીમાં વધુ પ્રગતિ થશે કારણ કે પ્રજા જાણે છે મોદીએ શું કર્યુ છે.

પીએમ મોદીએ મહાગઠબંધનને મહામિલાવટ તરીકે ઓળખાવી કહ્યુ હતુ કે એ નહિ ચાલે. ૨૦૧૪ના મુકાબલે વધુ વિખેરાયેલુ છે અનેક રાજ્યોમાં ગઠબંધન થયુ જ નથી. તેઓ એકબીજાને પાડવામાં લાગ્યા છે. ચૂંટણી પહેલા સાથે રહી નથી શકતા તો પછી કઈ રીતે રહેશે ?

પાકિસ્તાનને લઈને સરકારની તૈયારી અંગેના સવાલ પર પીએમ મોદીએ કહ્યુ હતુ કે શું તમે ઈચ્છો છો કે અમારૂ પ્લાનીંગ હું નેશનલ ચેનલ ઉપર બતાવી દઉં ? આ દેશની સુરક્ષાના મામલો છે. તેમણે કહ્યુ હતુ હું પાકિસ્તાની જાળમાં ફસાઉ તેવો નથી. પાકિસ્તાને આતંકવાદ છોડવો જ પડશે. તેમણે કહ્યુ હતુ કે, પુલવામા ઉપર સવાલ ઉઠાવનારાઓ અણસમજુ છે. હિન્દુસ્તાનની માંગ છે કે પાકિસ્તાન આતંક છોડે, ત્રાસવાદીઓને અમને સોંપે અને ૨૬-૧૧ના ગુન્હેગારોને અમને સોંપે. રાષ્ટ્રીય સુરક્ષા મામલે દેશ મારૂ વલણ જાણે છે. આ દેશનો કોઈ વ્યકિત નરેન્દ્ર મોદીની દેશભકિત ઉપર સવાલ ઉઠાવી ન શકે. તેમણે રોજગારી, બેન્ક ખાતા અને પોતાના કામકાજ ઉપર ડીબેટનો પડકાર પણ ફેંકયો હતો.

મુલાકાત દરમિયાન તેમણે પોતાની સરકારની કામગીરીની વિગતો પણ આપી હતી. તેમણે કહ્યુ હતુ કે, અભિષેક મામલે કોંગ્રેસે રાજકારણ રમ્યુ હતું. વિપક્ષે આ મામલે ષડયંત્ર રચ્યુ હતું. જે લોકો પાકિસ્તાનના વડાપ્રધાનના વખાણ કરે છે તેઓને ઓળખવા જરૂરી છે. અભિનંદનની ઘટના બની તો દેશના બધા પક્ષોએ કહેવુ જોઈતુ હતુ કે આપણને દેશની સેના પર ગર્વ છે અને તેણે એફ-૧૬ વિમાન તોડી પાડયુ છે એને બદલે અભિનંદન પાછો કર્યા આવશે ? તેના પર ચાલી નિકળ્યા. એ દિવસે રાત્રે વિપક્ષે કેન્ડલ લાઈટ માર્ચ કાઢવા અને પુલવામા હુમલા બનાવવાનું ષડયંત્ર તૈયાર કર્યુ હતુ. તે પહેલા જ સાંજે ૪ - ૫ વાગ્યે પાક.ના વડાપ્રધાને અભિનંદનને છોડવાની જાહેરાત કરી હતી. તેથી તે લોકોની યોજના ઉંધી વળી ગઈ હતી.

(10:23 am IST)