Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

દિલ્હીની હિંસાએ ભારતની છબી ખરડી :યુરોપિયન યુનિયનની સંસદ બાદ હવે બ્રિટનની સંસદમાં પણ સીએએને લઇને ચર્ચા

આ કાયદાથી ભારતમાં ભાગલા જેવી સ્થિતિ બની :તેને લઇને ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ : બ્રિટન સરકાર

નવી દિલ્હી : યુરોપિયન યુનિયનની સંસદ બાદ હવે બ્રિટનની સંસદમાં પણ ભારતના કાયદા સીએએને લઇને ચર્ચા થઇ રહી છે. યુકેના હાઉસ ઓફ લોર્ડમાં સીએએ કાયદો શું છે અને તેની ભારતના નાગરિકો પર શું અસર થશે તેના પર ચર્ચા કરવામાં આવી હતી. બ્રિટનમાં હાઉસ ઓફ લોર્ડ સંસદનું ઉપલુ અને ટોચનું ગૃહ માનવામાં આવે છે જેમાં સીએએ, એનઆરસી મુદ્દે ચર્ચા કરી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

 આ ચર્ચા એવા સમયે થઇ રહી છે જ્યારે દિલ્હીમાં હિંસાને પગલે અનેક લોકો માર્યા ગયા છે અને તે અંગે અમેરિકામાં પણ નેતાઓ દ્વારા નિવેદનો જાહેર થવા લાગ્યા છે સાથે સંયુક્ત રાષ્ટ્રએ પણ નોંધ લીધી છે. દિલ્હીમાં જે હિંસા થઇ તેમાં સીએએના સમર્થકો અને વિરોધીઓ બન્ને સામેલ હતા. આવી સ્થિતિમાં સીએએ કાયદા અંગે બ્રિટનની સંસદમાં ચર્ચા થઇ રહી છે.

બ્રિટનની સંસદમાં સીએએ અંગે ચર્ચા માટેનો જે પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો તેમાં એવી માગણી કરવામા આવી હતી કે બ્રિટન સરકારે સીએએ મુદ્દે ભારતના વડા પ્રધાન મોદીની સાથે વાત કરવી જોઇએ. અને સીએએ મુદ્દે ભારત સરકાર ફરી વિચારણા કરે તે માટે બ્રિટન સરકારે રજુઆત કરવી જોઇએ કેમ કે આ કાયદાનો ભારતમાં ભારે વિરોધ થઇ રહ્યો છે જેમાં અનેક લોકોના મોત પણ નિપજ્યા છે.

 બીજી તરફ બ્રિટન સરકારે કહ્યું છે કે અમે હાલ સીએએ અને એનઆરસી તેમજ અન્ય જે પણ કાયદા આવી રહ્યા છે તેને લઇને ભારત પર નજર રાખી રહ્યા છીએ. આ કાયદાથી ભારતમાં ભાગલા જેવી સ્થિતિ બની ગઇ છે અને તેને લઇને ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે.

(1:13 pm IST)