Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

કોટક મહિન્દ્રા બેંકને મોટો ફટકો : આરબીઆઈએ નવા ગ્રાહકોને ઓનલાઈન ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો : નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરી શકશે નહીં

IT નિયમોનું પાલન ન કરવા પર RBIએ લીધી કાર્યવાહી, બેંકિંગ એપ દ્વારા પણ નવા ગ્રાહકો ઉમેરી શકશે નહીં

મુંબઈ : RBIએ કોટક મહિન્દ્રા બેંકને મોટો ઝટકો આપ્યો છે. હવે બેંક ન તો નવા ગ્રાહકોને ઓનલાઈન ઉમેરી શકશે અને ન તો નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરી શકશે. વાસ્તવમાં આરબીઆઈને કોટક મહિન્દ્રા બેંકની આઈટી સિસ્ટમમાં ખામીઓ જોવા મળી હતી. આ અંગે બેંક પાસેથી સુધારેલ જવાબ પણ માંગવામાં આવ્યો હતો, જે આરબીઆઈને સંતોષકારક લાગ્યો ન હતો. RBIએ 2022 અને 2023ની કોટક મહિન્દ્રા બેંકની IT તપાસ બાદ આ કાર્યવાહી કરી છે. RBI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, 'સતત બે વર્ષ સુધી કોટક મહિન્દ્રા બેંકના IT રિસ્ક એસેસમેન્ટ અને ઇન્ફોર્મેશન સિક્યુરિટી ગવર્નન્સમાં ખામીઓ જોવા મળી હતી. આ નિયમનકારી માર્ગદર્શિકા મુજબ ન હતા.' આરબીઆઈએ બેંકને એક વ્યાપક બાહ્ય ઓડિટ કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. આ પછી આરબીઆઈ સમીક્ષા કરશે. આ એક્સટર્નલ ઓડિટ કોટક મહિન્દ્રા બેંક દ્વારા જ સંબંધિત સુધારાઓ કર્યા બાદ કરવામાં આવશે, જેના માટે પહેલા આરબીઆઈ પાસેથી મંજૂરી લેવી પડશે. ડિસેમ્બર 2020 માં, આરબીઆઈએ HDFC બેંક પર નવા કાર્ડ જારી કરવા અને નવી ડિજિટલ પહેલ શરૂ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આઈટી અને ટેકનોલોજીકલ ખામીઓને કારણે પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી, 11 માર્ચ, 2022 ના રોજ, રિઝર્વ બેંકે HDFC બેંક પર લાદવામાં આવેલા તમામ નિયંત્રણો હટાવી દીધા. કોટક મહિન્દ્રા બેંકનો ક્રેડિટ કાર્ડ બિઝનેસ કુલ બિઝનેસના લગભગ 3.8% છે. દેશના કુલ ક્રેડિટ કાર્ડ માર્કેટમાં બેંકનો હિસ્સો લગભગ 4% છે. તમને જણાવી દઈએ કે કોટક મહિન્દ્રા ફાઈનાન્સને 2003માં બેંકિંગ લાઇસન્સ મળ્યું હતું. બેંકમાં રૂપાંતરિત થનારી આ પ્રથમ NBFC હતી. આ પછી કોટક મહિન્દ્રા બેંક અસ્તિત્વમાં આવી હતી.

 

(6:01 pm IST)