News of Wednesday, 28th October 2020
નવી દિલ્હી,તા.૨૮ : કોરોના રૂપી વૈશ્વિક મહામારીને કારણે અર્થતંત્રને માઠી અસર થઇ છે. ગત એપ્રિલથી જૂન દરમિયાન ઉદ્યોગો સંપૂર્ણપણે બંધ હોવાની સાથે જ કરોડો રૂપિયાનું નુકશાન થયુ છે. હજારો લોકોની નોકરી છીનવાઈ ગઇ છે અથવા તો નોકરીમાં પરેશાની સહિતના પ્રશ્રો જોવા મળી રહ્યા છે. ગત બે માસથી વેપાર-રોજગારમાં થોડી ઘ઼ણી હલચલ દેખાઇ છે. એવામાં લોકડાઉન અને કોરોનાને કારણે અસરસસ્ત થયેલા નોકરીયાત માટે
અને વેપારીઓ જયોતિષીઓનું શરણું લઇ રહ્યા છે. કારણ કે શહેરમાં ઠેરઠેર ગ્રહદશાને આધારે યજમાનોનું માર્ગદર્શન કરનારા જયોતિષીઓને ત્યાં હાલમાં આર્થિક પ્રશ્રો સંબંધિત મૂંઝવણનો મારો જોવા મળી રહ્યો છે. વેપાર-રોજગારની ગાડી ફરી પાટે કયારે ચઢશે એ પ્રશ્રો અને તે પ્રશ્ર-સમસ્યાના ઉકેલ માટે યોગ્ય માર્ગ દેખાડવાની અરજ કરી રહ્યા છે.
સામાન્ય પણે યજમાનો જયોતિષીને ત્યાં લગ્ન, વાસ્તુ પૂજા, ગૃહ પ્રવેશ, ગાડીની ખરીદી, જમીન-મકાનની ખરીદી, સંતાન પ્રાપ્તિ, નોકરીમાં પ્રમોશન સહિતના પ્રશ્રોને લઇને પહોંચે છે. જેમાં કુંડળી દોષ અને અન્ય ગ્રહ, તિથી, નક્ષત્રને આધારે ધાર્મિક વિધિવિધાન, ક્રિયા કરવાનું માર્ગદર્શન આપવામાં આવે છે. જોકે, હાલમાં છેલ્લા ત્રણ માસથી જયોતિષીઓને ત્યાં વેપાર અને રોજગાર સંબંધિત મૂંઝવણનો મારો જોવા મળી રહ્યો છે. જયોતિષીઓના મત પ્રમાણે, છેલ્લા ૩ મહિનામાં વેપાર, નોકરી, રોજગારમાં વિકટ સ્થિતિ હોવાનીની પમી, ફરિયાદો સાથે ૮૦ ટકા જેટલી ઇંકવાયરી આવી રહી છે બાકીના ર૦ ટકા હિસ્સામાં લગ્ન, વાસ્તુ, શુભ ખરીદી, સંતાન પ્રાપ્તી સહિતજન અન્ય મોટા ભાગના પ્રશ્નો આવી જાય છે. મૂંઝવણો લઇને આવતા યજમાનોમાં યુવાનોથી માંડીને નોકરીયાત, વેપારી, ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે. ધંધો બંધ છે શું કરવું, વેપારમાં તેજી કયારે આવશે, વેપાર-રોજગારની ગાડી ફરી પાટે કયારે ચઢશે, નોકરીમાંથી કાઢી મૂકયા છે તો શું કરવું, પૈસા ફસાઈ ગયા છે કયારે આવશે આ બધા પ્રશ્રો મુખ્ય છે.
ગોચરનો ગ્રહ પરેશાન કરતો હોય તો આ ઘરગથ્થુ ઉપયોનું સૂચન
સૂર્યનારાયણ માટે ગાયને રોટલીમાં ગોળ મૂકીને ખવડાવવું. ચંદ્ર નારાયણ માટે સોમવારે સફેદ કપડા પહેરવા, મહાદેવજીને સાકર ચઢાવવી. મંગળ મહારાજ માટે કુળદેવીને કોરૂ કંકુ ચઢાવવુ. ગણેશજીને એક સોપારી ચઢાવવી. બુધ ભગવાન માટે ગાયને લીલુ ઘાસ ખવડાવવું. મહાદેવજીને નારંગી અર્પણ કરવી. ગુરુ મહારાજ માટે ચણાની વસ્તુ મહાદેવજીને પ્રસાદમાં ધરાવવી અને જલારામ બાપાને બુંદી ધરાવવી. શુક્રવાર માટે પોતાની જાત માટે સુગંધિત પદાર્થોનો ઉપયોગ કરવો અને નાના છોકરાને ચોકલેટ ખવડાવવી. શનિ મહારાજ માટે કૂતરાને બિસ્કીટ ખવડાવવા, પોતાના ભોજનમાં અડદનું સેવન કરવું અને હનુમાનજીને તેલ ચઢાવવું. રાહુ મહારાજ માટે શંકરજીને કાળા તલ ચઢાવવા, ગરીબને ખાવાનું ખવડાવવું. કેતુ મહારાજ માટે ગણેશજીને કોરો સિંદૂર અથવા કોઢું ચઢાવવું.
છેલ્લા ૧૫ દિવસથી લગ્ન, સગાઇ સંબંધિત ઇન્કવાયરી વધી
શાસ્ત્રી ડો. કર્દમ દવેના જણાવ્યા મુજબ, લોકડાઉન અને કોરોના વચ્ચે અનેક લોકોની નોકરી, વેપાર, રોજગાર આશિક કે સંપુર્ણ રીતે અસરગ્રસ્ત થયા હતા. એવામાં મુઝાયેલા લોકો પોતાની કુંડળીને આધારે પ્રશ્ર-સમસ્યાનો ઉકેલ આવે એ માટે મુંઝવણો ઠાલવી રહ્યા છે. તેમાં પ્રથમ તબક્કે યજમાનોની માનસિક સ્થિતી થાળે પડે એ માટે હકારાત્મક અભિગમ દાખવવાનું સૂચન કરીએ છીએ. કોરોનાને બાજુએ મૂકીને ગોચરના ગ્રહની સ્થિતિ અને કુંડળી પ્રમાણે જ કેટલાક ઘરેલું ઉપાય કરવાનુ માર્ગદર્શન આપીએ છીએ. ગોચરનો ગ્રહ હેરાન કરતો હોય તો શું કરી શકાય એવા ઉપાયો સૂચવીએ છીએ. હમણા સુધી ચાતુર્માસ હોવાથી લગ્ન, સગાઇ સંબંધિત ઇન્કવાયરી સંપુર્ણ બંધ હતી. પરંતુ હવે દિવાળી પછી લગ્નસરા શરૂ થવાના હોય લગ્ન-સગાઇ સંબંધિત ઇન્કવાયરી વધી છે.