Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ગુજરાતથી ૯૭૪ ટ્રેનો દોડીઃ ૩૦ લાખ શ્રમિકોની ઘર વાપસી

હજુ બે-ત્રણ દિવસમાં વધુ ૨-૩ લાખ શ્રમિકો રવાના થશેઃ ઘરવાપસીથી ઉદ્યોગોની માઠીઃ ૧૫.૫૮ લાખ શ્રમિકો ટ્રેનો મારફત તો ૯.૫૦ લાખ વાહનોમાં ઘરે ગયાઃ ૪ થી પ લાખ પગપાળા રવાના થયાઃ વિદેશોથી ૧૯૫૮ પાછા ફર્યા

નવી દિલ્હી, તા.૨૮: ગુજરાત સરકાર દ્વારા પરપ્રાંતિય કામદારોને તેમના વતન મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે. સરકારે પરપ્રાંતિય કામદારોને પરત આવવાની મંજૂરી આપ્યા પછી ૧થી ૨૭ મે દરમિયાન ૩૦ લાખથી વધુ સ્થળાંતર કામદારો ગુજરાતમાંથી તેમના પોતાના રાજયો માટે રવાના થયા હતા. સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસમાં બીજા બે કે ત્રણ લાખ કામદારો રવાના થશે. ૩૦ લાખથી વધુ પરપ્રાંતિય કામદારો વતન જતા રહ્યા હોવાથી ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ભારે નુકસાન થાય તેવી સંભાવના છે.

સરકારી રેકોર્ડ અનુસાર ૯૭૪ જેટલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં ૧૫.૫૮ લાખથી વધુ સ્થળાંતર કામદારો તેમના રાજયોમાં પહોંચાડવામાં આવ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તામિળનાડુ જેવા રાજયોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૯.૫૦ લાખ કામદારોને સરકારી અને ખાનગી બસોમાં પાડોશી રાજય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોકલવામાં આવ્યા છે. પગપાળા કરીને, સાયકલ અથવા અન્ય ખાનગી વાહનોમાં રાજય છોડીને ગયા હોય તેવા લોકોનો આ આંકડામાં સમાવેશ થતો નથી.

અધિકારીઓનું કહેવું છે કે, રાજય સરકાર પાસે પગપાળા અથવા અન્ય રીતે વતન છોડીને ગયા હોય તેવા લોકોના ચોક્કસ આંકડા નથી. પરંતુ આ સંખ્યા ચારથી પાંચ લાખ લોકોની વચ્ચે હોઇ શકે. સરકારે સ્થળાંતર કામદારોને પાછા ફરવાની મંજૂરી આપતા પહેલા અઠવાડિયામાં ૨૧ લાખ જેટલા કામદારોએ પાછા ફરવા માટે નોંધણી કરાવી હતી.

ગુજરાતમાંથી બીજા રાજયોની સંખ્યામાં સ્થળાંતર કરનારા કામદારોની સાથે ગુજરાતમાં એક જિલ્લાથી બીજા જિલ્લામાં કામદારોના સ્થળાંતરમાં પણ વધારો થયો હતો. લોકોએ ભાવનગર, અમરેલી, જામનગર, દાહોદ અને નર્મદા જેવા જિલ્લાઓમાં પરત જવા માટે સુરત, અમદાવાદ, વડોદરા અને અન્ય ઔદ્યોગિક કામો છોડી દીધા હતા.

રાજય સરકારે બુધવારે જણાવ્યું હતું કે, વંદે ભારત મિશનના પ્રથમ તબક્કામાં ૧૧ દેશમાં ફસાયેલા ૧૯૫૮ ગુજરાતીઓ ગુજરાત પરત ફર્યા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વની કુમારે કહ્યું, વિદેશી બાબતોના મંત્રાલયે ૭મી મેએ વંદે ભારત મિશનની શરૂઆત કરી હતી. વિદ્યાર્થીઓ, મુસાફરો અને અન્ય લોકો સહિત મોટી સંખ્યામાં ગુજરાતીઓ કોરોના મહામારી વચ્ચે ફસાયેલા હતા. ફ્લાઇટ્સનું સંચાલન એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એકસપ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. મુસાફરોમાં કુવૈતથી ૧૪૬, ફિલિપાઇન્સના ૩૩૨ અને યુકેના ૪૩૫ લોકોનો સમાવેશ થાય છે.

(10:30 am IST)