Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

સુનંદા મોત કેસ : પાંચમી જૂને મહત્વનો આદેશ થશે

શશી થરૂરની મુશ્કેલીમાં વધારો થઈ શકેઃ થરૂરને આરોપી તરીકે બોલાવાય કે કેમ તે મામલે નિર્ણય કરાશે : પુરતા પુરાવાઓ હોવાનો કરાયેલો દાવો

નવી દિલ્હી,તા. ૨૮: દિલ્હીની એક અદાલતે આજે કહ્યું હતું કે સુનંદા પુષ્કર મોતના મામલામાં તેના પતિ અને કોંગ્રેસના નેતા શશી થરૂરને આરોપી તરીકે બોલાવવાના પ્રશ્ન પર પાંચમી જૂનના દિવસે તે આદેશ કરશે. થરૂરને બોલાવવા માટે તેમની પાસે પુરતા પુરાવા છે તેવી રજુઆત કરવામાં આવી હતી. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સમર વિશાલે કહ્યું હતું કે તેઓ મોડેથી આદેશ આપશે.

અત્રે ઉલ્લેખનિય છે કે સમગ્ર દેશને હચમચાવી મુકનાર સુનંદા પુષ્કર મોતના મામલામાં દિલ્હી પોલીસે ૧૪મી મેના દિવસે ચાર્જશીટ દાખલ કરી હતી. કોંગ્રેસના નેતા શશી થરુરના પત્નિ સુનંદા પુષ્કર લીલા હોટલના રૂમ નંબર ૩૪૫માં ચાર વર્ષ અગાઉ મૃત હાલતમાં મળી આવ્યા હતા. દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે અને આ કેસમાં આરોપી તરીકે તેમના પતિ અને કોંગ્રેસના સાંસદ શશી થરુરનું નામ રાખતા કોંગ્રેસની અને શશી થરુરની ચિંતામાં વધારો થયો છે. મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ ધર્મેન્દ્રસિંહ સમક્ષ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના નેતા ઉપર આક્ષેપબાજીનો દોર શરૂ થઇ ગયો હતો. પોલીસે કહ્યું હતું કે, આ કેસ આત્મહત્યાનો છે. મર્ડરનો કેસ નથી. આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ આ કેસ દાખલ કરવામાં આવ્યો આવ્યો હતો. દિલ્હી પોલીસે જે ચાર્જશીટ દાખલ કરી છે તેમાં જુદી જુદી કલમો રાખવામાં આવી છે જેમાં કલમ ૩૦૬ અને ૪૯૮એનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે કલમ ૩૦૬ હેઠળ શશી થરુર પર સુનંદાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આક્ષેપ કરાયો હતો. આ ઉપરાંત સ્થાનિક હિંસા અથવા તો પત્નિની સાથે ક્રૂરતાની કલમ ૪૯૮એનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ટીવી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સ્થાનિક લડાઈ ઝગડા અને શશી થરુર સાથે સારા સંબંધ ન હોવાના લીધે સુનંદા પુષ્કરને આત્મહત્યા તરફ દોરી જવાની ફરજ પડી હતી.

 

(9:49 pm IST)