News of Tuesday, 28th April 2020
ન્યુયોર્ક, તા.૨૮: દુનિયાભરમાં કોરનાનો કહેર યથાવત છે. લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. દસ હજાર લાશો દરરોજના હિસાબે આ આંકડો દરરોજ વધી રહ્યો છે. આ દુનિયામાં ૨૧ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુકયા છે. આ આંકડો કયાં જઅમે અટકશે તે હાલ કહેવુ મુશ્કેલ છે. તેથી હવે લાશોને દફનાવવા માટે એક જ કબરમાં અનેક લાશો દફન કરવામાં આવી રહી છે. આવી જ સ્થિતિ અમેરિકાના ન્યૂયોર્ક શહેર અને ત્યાંના કબ્રસ્તાનની છે.
તાજેતરમાં ન્યૂયોર્કના હાર્ટ આઇલેન્ડની કેટલીક તસવીરો સામે આવી હતી. જયાં કોરોનાથી મૃત્યુ પામનાપાઓના અંતિમ સંસ્કાર માટે એક નહેર જેવી મોટી કબર ખોદવામાં આવી હતી. આ કબરો ખોદવા માટે મશીનોની મદદ લેવામાં આવી. આ ઉપરાંત મશીનોની મદદથી જ તાબૂતને અંદર રાખવામાં આવી. સ્થિતિ એવી છે કે તાબૂતોને એકની ઉપર એક મુકવાનો વારો આવ્યો છે. જેથી જગ્યા જલ્દી ન ભરાયા અને બાકીની લાશો પણ તેમાં સમાઇ શકે. જે કબ્રસ્તાનોમાં પહેલા લાશોને દફનાવવા માટે અઠવાડિયામાં એક દિવસ નક્કી કરવામાં આવ્યો હતો, ત્યારે આજે અઠવાડિયાના પાંચ દિવસ આ કામ થાય છે.
ન્યૂયોર્કના મેયર બિલ જે બ્લાસિયોએ જણાવ્યું કે આ કોઇ નવી પ્રક્રિયા નથી. આ દુખનો વિષય છે. વિચારો જો કોઇ મૃત્યુ પામે અને તેના શબને કોઇ સ્વીકારનાર ન હોય. આ હકીકત લાંબા સમયથી ચાલતી આવી છે, તેથી કોઇપણ આવો શખ્સ ભલે તે ગમે તે રીતે મૃત્યુ પામ્યો હોય, તેને અહીં દફનાવવામાં આવે છે.પરંતુ આ દોરમાં વધુ લોકો કોરોનાના કારણે મૃત્યુ પામી રહ્યાં છે.
સામાન્ય રીતે અહીં તે શબોને દફનાવવામાં આવે છે, જેને કોઇ સ્વીકારનાર નથી. પરંતુ આજે તો કોરોનાથી મૃત્યુ પામનારને સ્વીકારવા તેના પરિજનો તૈયાર નથી. પરિણામે હવે તમામ પ્રકારની લાશોને અહીં સામૂહિક રીતે દફનાવવામાં આવી રહી છે, કોરોનાથી પહેલા આવી લાશોને અહીં દફનાવવાનું કામ જેલમાં કેદ કેદીઓ પાસે કરાવવામાં આવતુ હતું. પરંતુ હવે કામ એટલુ વધી ગયુ છે કે તેને કરવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવે છે.
માનવી એટલો લાચાર કયારેય ન હતો, જેટલો આજે છે. રસ્તાઓ પર મોતનો સન્નાટો છે. કબ્રસ્તાનમાં ચારેય તરફ મોતનો નજારો છે. આ આંકડા એટલી ઝડપથી વધી રહ્યાં છે કે હવે ગણતા પણ ડર લાગે છે. સૌથી વધુ કહેર અમેરિકા પર તૂટ્યો છે, જયાં દરરોજ અઢી હજાર લાશો કબ્રસ્તાન સુધી પહોંચાડવામાં આવી રહી છે. અમેરિકાના કોઇ પ્રયાસો કામ નથી આવી રહ્યા. સ્થિતિ એટલી વણસી ગઇ છે કે હવે સવાલ પૂછવા પર પણ અમેરિકાના રાષ્ટ્રપતિને ગુસ્સો આવે છે.
અમેરિકામાં સૌથી વધુ ખરાબ સ્થિતિ ઇકોનોમિક કેપિટલ ન્યૂયોર્કમાં છે. દેશના કુલ કોરોના દર્દીઓની અડધી સંખ્યા તો ફકત ન્યૂયોર્કમાં છે. આ જ સ્થિતિ અહીં મૃત્યુ પામનારાઓની સંખ્યાની પણ છે. દરરોજ અહીં ૭૦૦ લોકોના મોત થઇ રહ્યાં છે. સ્પષ્ટ છે કે આટલી મોટી સંખ્યામાં લોકોના અંતિમ સંસ્કાર કરવા સરકાર અને પ્રશાસન માટે મોટી મુશ્કેલી ઉભી કરી રહ્યાં છે. આ જ કારણ છે કે મજબૂરીમાં સરકારે શબોના અંતિમ સંસ્કાર માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવી પડી છે સાથે જ સામૂહિક કબરો ખોદવામાં આવી છે.
ન્યૂયોર્કની આ તસવીરો ભયાનક છે. આ તસવીરો જણાવી રહી છે કે મહામારીને ગંભીરતાથી ન લીધી તો લાશો દફનાવવા માટે જમીન પણ ઓછી પડી જશે. જે રીતે આજે ન્યૂયોર્ક કોરોના વાયરસના ભરડામાં છે, કાલે અન્ય શહેરો પણ તેની ચંુગલમાં આવી શકે છે.