Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

છુટ કે કડકાઇ? 'એકઝીટ પ્લાન' ઉપર ઘડાતી રણનીતિ

મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કર્યા બાદ કેન્દ્ર બનાવી રહી છે યોજનાઃ ચાલુ સપ્તાહના અંતે ફરી રાષ્ટ્રને સંબોધી શકે છે વડાપ્રધાન

નવી દિલ્હી, તા.૨૮: સોમવારે દેશના તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ કેન્દ્ર સરકાર હવે લોકડાઉનની આગામી કાર્યવાહી અંગે કામ શરુ કરી કરી દીધું છે. રાજય સરકારો તરફથી કેન્દ્રને મળેલા સૂચનોના આધાર પર પ્લાન બનાવવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય દિલ્હીમાં કેન્દ્ર સરકારથી લઈને જમ્મુ-કાશ્મીરથી કેરળ સુધી રાજય સરકારો પણ લોકડાઉન પર સંપૂર્ણ એકશન પ્લાન બનાવવામાં લાગી ગઈ છે. શરુઆતની ચર્ચામાં જે બાબતો નિષ્કર્ષ તરીકે સામે આવી રહી છે, તેમાં મૂળ વાત એ છે કે કેન્દ્ર ૩ મે પછી લોકડાઉન યથાવત રાખશે કે છૂટછાટો આપવાનું શરુ કરશે?

ઉચ્ચ પદસ્થ સત્રો તરફથી જાણવા મળ્યું છે કે, આ લોકડાઉનનું સ્વરુપ હાલ ચાલી રહેલા લોકડાઉન કરતા એકદમ અલગ હશે અને સરકાર એ વિસ્તારોમાં થોડી છૂટછાટ આપી શકે છે કે જે વિસ્તારો સંપૂર્ણ રીતે કોરોનાથી મુકત થઈને ગ્રીન ઝોનમાં આવી ગયા છે. બીજી તરફ ખરાબ રીતે પ્રભાવિત દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં આગળ પણ પ્રતિબંધ યથાવત રાખવામાં આવી શકે છે.

સોમવારે મુખ્યમંત્રીઓએ વડાપ્રધાન સાથે કરેલી વાતચીતમાં લોકડાઉન લંબાવવાની માગ કરી છે. જોકે, કેટલાક રાજયોએ એવા પણ છે કે જેમણે સંપૂર્ણ રીતે લોકડાઉનના બદલે કેટલાક છૂટછાટ સાથે લોકડાઉન લાગુ કરવા પર ભાર આવ્યો છે. પૂર્વોત્ત્।ર રાજયો સિવાય, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજયોના મુખ્યમંત્રીઓએ પણ માન્યું છે કે સંપૂર્ણ રીતે લોકડાઉન ઉઠાવવાનો નિર્ણય યોગ્ય નથી.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રેડ ઝોન થયેલા વિસ્તારોમાં વધારે ધ્યાન આપીને ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન બનાવવાની દીશામાં કામ કરવા માટે જણાવ્યું છે. વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે લોકડાઉનના કારણે દેશના ઘણાં ભાગોમાં સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે. જોકે, વડાપ્રધાને એ વાતનો પણ સંકેત આપ્યો છે કે દ્યણાં એકસપર્ટ્સે એ વાતને માની છે કે કોરોનાની અસર આવનારા મહિનામાં વધી શકે છે. વડાપ્રધાને રાજયો સાથે કરેલા સંવાદ બાદ લોકડાઉન પર નિર્ણય લેવા અંગેના તમામ મુદ્દાઓ પર મંથન કરવા માટે કહ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે ૩ મે પછી સરકાર એ વિસ્તારમાં થોડી છૂટછાટ આપી શકે છે જે કોરોના હોટસ્પોટ નથી. આ સિવાય ઈ-કોમર્સ વેબસાઈટ્સ અને શહેરી વિસ્તારોમાં બજારો પર થોડી છૂટછાટો મળી શકે છે. આ માટે ગૃહમંત્રાલય પોતે વિસ્તૃત ગાઈડલાઈન જારી કરવાની તૈયારી કરી રહ્યું છે. એ વાતની સંપૂર્ણ સંભાવના છે કે જો સરકાર બજાર ખોલવાનો આદેશ આપે છે તો અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ અને અલગ-અલગ સમય પ્રમાણે દુકાનો ખોલવાનો નિયમ લાગુ કરવામાં આવી શકે છે. આ સિવાય માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં રોજ આવી રહેલા નવા કેસોને ધ્યાનમાં રાખીને કોઈ ખાસ છૂટછાટ આપવામાં નહીં આવે.

(9:47 am IST)