Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

કોર્ટનો સાચો કે ખોટો ચુકાદા સ્વિકારવો કાયદામંત્રીનું કર્તવ્યઃ રોહિંગ્ટન ફલી નરીમન

સુપ્રીમના પૂર્વ જજના કાયદામંત્રી પર પ્રહાર : પાયાના સિદ્ધાંતને બે વાર પડકાર ફેંકાયો છે, બંને વખત પડકારનારા પરાજિત થયા. પછી ૪૦ વર્ષોમાં તેના વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથીઃ નરીમન

નવી દિલ્હી, તા.૨૮ : સુપ્રીમકોર્ટમાં નિમણૂક અંગે સુપ્રીમકોર્ટની કોલેજિયમ પ્રણાલી પર કેન્દ્ર સરકારના વધતા પ્રહારો વચ્ચે સુપ્રીમકોર્ટના પૂર્વ જજ રોહિંટન ફલી નરીમને એક જાહેર કાર્યક્રમમાં કાયદા મંત્રી કિરણ રિજિજુ પર પ્રહાર કર્યા હતા.

જસ્ટિસ નરીમન ખુદ ઓગસ્ટ ૨૦૨૧માં સેવાનિવૃત્ત થતા પહેલા કોલેજિયમનો ભાગ હતા. ન્યાયપાલિકા અંગે કાયદામંત્રીની જાહેરમાં ટિપ્પણીને ટીકા ગણાવતા નરીમને કાયદા મંત્રીને યાદ અપાવ્યું કે કોર્ટના ચુકાદાને સ્વીકારવો તેમનું કર્તવ્ય છે. ભલે પછી તે ખોટો હોય કે સાચો. જસ્ટિસ નરીમને કહ્યું કે પાયાના સિદ્ધાંતને બે વાર પડકાર ફેંકાયો છે. બંને વખત પડકારનારા પરાજિત થયા. પછી ૪૦ વર્ષોમાં તેના વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. નરીમને કહ્યું કે આ એક સિદ્ધાંત છે. જેને બદલવા પ્રયાસ કરાયો હતો અને ૪૦ વર્ષ પહેલા પણ પ્રયાસ કરાયા હતા. તેમણે કહ્યું કે આપણે સ્પષ્ટ કરી લેવાની જરૃર છે કે આ કંઈક એવું છે જે ક્યારેય નહીં બદલાય. જો તેની સાથે ચેડાં થશે તો આપણે નવા અંધકારમય યુગમાં ધકેલાઈ જશું તે નક્કી છે.

જસ્ટિસ નરીમને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સામે પણ નિશાન તાક્યું હતું જેમણે બંધારણના પયાના સિદ્ધાંત સામે સવાલો ઊઠાવ્યા હતા. નરીમને ઉપરાષ્ટ્રપતિનું નામ લીધા વિના કહ્યું કે બંધારણનું પાયાનું માળખું ઉપલબ્ધ છે અને ભગવાનની કૃપા છે કે તે રહેશે જ. કોલેજિયમ દ્વારા સુધારેલા નામો પર કેન્દ્રની બેઠક અંગે તેમણે કહ્યું કે આ લોકતંત્ર માટે ઘાતક હતું અને સરકારને જવાબ આપવા માટે ૩૦ દિવસનો સમય આપવાની ભલામણ કરી હતી કે પછી ભલામણો ભલામણો ઓટોમેટિક રીતે મંજૂર થઈ જશે.

નરીમને કહ્યું કે   અમે આ પ્રક્રિયા વિરુદ્ધ આજના કાયદામંત્રીની ટીકાઓ સાંભળી છે. હું કાયદામંત્રીને આશ્વાસન આપું છું કે બંધારણના બે પાયાના બંધારણીય મૂળભૂત સિદ્ધાંતો છે જેને તેમણે જાણી લેવા જોઈએ. એક છે કમ સે કમ ૫ બિનચૂંટાયેલા જજોને આપણે બંધારણીય બેન્ચ કહીએ છીએ. તે બંધારણની વ્યાખ્યા કરવા માટે વિશ્વસનીય છે. એકવાર એ ૫ કે વધુએ બંધારણીય વ્યાખ્યા કરી લીધી તો એ નિર્ણયનું પાલન કરવું કલમ ૧૪૪હેઠળ એક ઓથોરિટી તરીકે તમારું કર્તવ્ય છે. તમે ઈચ્છો તો તેની ટીકા કરી શકો છો. એક નાગરિક તરીક હું તેની ટીકા કરી શકું છું. કોઈ વાત નથી પણ એ ન ભૂલવું કે હું આજે એક નાગરિક છું. તમે એક ઓથોરિટી અને એક ઓથોરિટી તરીકે તમે એ ચુકાદા સાથે બંધાયેલા છો, ભલે પછી તે સાચો હોય કે ખોટો.

(7:38 pm IST)