Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ઝારખંડ : ધનબાદની હોસ્‍પિટલમાં ભીષણ આગ : ડોકટર દંપતી સહિત ૬ લોકોના મોત

ફાયર બ્રિગેડના કર્મચારીઓએ હોસ્‍પિટલની બંને બાજુના કુલ ૦૯ લોકોને બચાવ્‍યા : આ તમામને નજીકના પાટલીપુત્ર નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્‍યા છે જયાં તેમની સારવાર ચાલી રહી છે

ધનબાદ તા. ૨૮ : ઝારખંડમાં, ધનબાદના પુરાના બજારમાં સ્‍થિત હાજરા હોસ્‍પિટલમાં ગઈકાલે રાત્રે આગમાં બે ડોક્‍ટર્સ (પતિ-પત્‍ની) સહિત છ લોકોના મોત થયા હતા. આ મોટી દુર્ઘટનામાં ડોક્‍ટર દંપતી વિકાસ હઝરા અને ડો.પ્રેમા હઝરાનું મોત થયું છે. ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે બીજા માળે આગ લાગી હતી અને ધીમે ધીમે તેણે હોસ્‍પિટલના પહેલા માળને લપેટમાં લીધું હતું. જેના કારણે હોસ્‍પિટલના અન્‍ય ભાગોમાં પણ લોકોને અસર થઈ હતી. ઘટના સમયે મોટાભાગના લોકો ગાઢ નિંદ્રામાં હતા. આગ બુઝાવવા માટે બાથરૂમના ટબ અને પાણીનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો પરંતુ આગ એટલી ભયાનક હતી અને રૂમની અંદર એટલો ધુમાડો હતો કે જીવ બચાવવો મુશ્‍કેલ બની ગયો હતો.

જયારે ફાયર વિભાગને આગની માહિતી મળી, ત્‍યારે બે ફાયર એન્‍જિન સ્‍થળ પર પહોંચ્‍યા અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ હોસ્‍પિટલની બંને બાજુના કુલ ૦૯ લોકોને બચાવ્‍યા. આ તમામને નજીકના પાટલીપુત્ર નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્‍યા છે જયાં તેમની સારવાર ચાલી રહી છે.

અહીં, ઘટનાના સંબંધમાં, હોસ્‍પિટલના મેનેજરે જણાવ્‍યું કે હાલ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. તેમણે જણાવ્‍યું કે આગ દરમિયાન ગેસથી ભરેલા સિલિન્‍ડરને રસોડામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્‍યો, નહીંતર આ દુર્ઘટના વધુ ભયાનક બની શકી હોત. આ પ્રસંગે બેંક ઈન્‍સ્‍પેક્‍ટર- સ્‍ટેશન હાઉસ ઓફિસર પીકે સિંહ અને ડીએસપી લો એન્‍ડ ઓર્ડર અરવિંદ કુમાર બિન્‍હાએ ચાર્જ સંભાળ્‍યો હતો. સુરક્ષાની સાવચેતીને ધ્‍યાનમાં રાખીને વહીવટીતંત્રે બહારના લોકોને ઉપરના માળે જવાની મનાઈ ફરમાવી હતી.ફાયર વિભાગના કર્મચારીઓના જણાવ્‍યા અનુસાર હોસ્‍પિટલમાં આગને રોકવા માટે કોઈ ખાસ સુરક્ષા વ્‍યવસ્‍થા નહોતી. અહી એન્‍ટી ફાયર મશીન પણ એક્‍ટીવ ન હતું તેથી ઘટનાનું કારણ સુરક્ષામાં બેદરકારી ગણી શકાય. બીજી તરફ, આજુબાજુના લોકો આ અકસ્‍માતથી ખૂબ જ આઘાત, દુઃખી અને ચિંતિત છે, હોસ્‍પિટલની બાજુમાં જ ૧૫-૧૬ માળનું એક મોટું એપાર્ટમેન્‍ટ (એમ્‍પાયર, હાર્મની) પણ છે. આગ નજીકના બિલ્‍ડીંગ સુધી પહોંચી શકી હોત, પરંતુ મોટા ટાવરવાળા મકાનોમાં પણ અકસ્‍માતને અટકાવવા માટે કોઈ ખાસ વ્‍યવસ્‍થા નહોતી.

ડો. પ્રેમા હઝરા અને તેમના પતિ ડો. વિકાસ હઝરાનાં મૃત્‍યુના સમાચાર સાંભળીને હોસ્‍પિટલ પહોંચેલા દર્દીઓના કેટલાક સંબંધીઓ પણ હતા. કોલકાતાથી આવેલા પરિવારના એક સદસ્‍યએ પોતાની વ્‍યથાને ભાવુક રીતે જણાવતા કહ્યું કે પ્રેમા હજારા ગરીબોના મસીહા હતા, તેઓ દરેકનું ધ્‍યાન રાખતા હતા, તેમના જવાથી ગરીબ દર્દીઓને ઘણું નુકસાન થયું છે

(11:31 am IST)