Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

નવો વાયરસ ત્રણમાંથી એક દર્દીનો ભોગ લઈ શકે છે

વુહાનના વૈજ્ઞાનિકોની હવે દુનિયાને ચેતવણી : હાલમાં તો તે દ. આફ્રિકામાં ચામાચિડિયામાં જોવા મળ્યો છે, માણસને સંક્રમિત કરવા માટે એક મ્યુટેશનની જરુર

બીજિંગ, તા.૨૭ : કોરોના વાયરસે સૌથી પહેલા ચીનના વુહાન શહેરમાં દેખા દીધી હતી. વુહાનના વૈજ્ઞાનિકોએ હવે દુનિયાને ચેતવણી આપતા કહ્યુ છે કે, એક નવો વાયરસ એનઈઓસીઓવી પણ મળી આવ્યો છે.આ વાયરસ નવો નથી પણ તેની ખબર હમણાં પડી છે.તે દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે.રાહતની વાત એ છે કે, હજી તે માણસોમાં ફેલાયો નથી.

રશિયન મીડિયાના અહેવાલ પ્રમાણે એનઈઓસીઓવી વાયરસ મર્સ કોવ નામના વાયરસ સાથે જોડાયેલો છે.મર્સ કોવનો પ્રકોપ ૨૦૧૨ અને ૨૦૧૫માં પશ્ચિમ એશિયાના દેશોમાં જોવા મળ્યો હતો. એનઈઓસીઓવી પણ સાર્સ કોવિડ ટુ જેવો છે.જેનાથી માણસો સંક્રમિત થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, હાલમાં તો તે દક્ષિણ આફ્રિકામાં ચામાચિડિયામાં જ જોવા મળ્યો છે.

વુહાન યુનિવર્સિટી અને ચાઈના એકેડમી ઓફ સાયન્સના સંશોધકોના રિસર્ચ પેપરમાં કહેવાયુ છે કે, નવા વાયરસને માણસને સંક્રમિત કરવા માટે માત્ર એક મ્યુટેશનની જરુર છે.જો આ વાયરસ માણસોને સંક્રમિત કરશે તો મોટા પાયે લોકોના મોત થઈ શકે છે.દર ૩ દર્દીએ એકનુ મોત થવાની શક્યતા છે. રશિયાના સરકારી વાયરોલોજી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના સંશોધકોનુ કહેવુ છે કે, એનઈઓસીઓવી વાયરસ હાલમાં તો માણસોને સંક્રમિત કરવા માટે સક્ષમ નથી પણ કોરોનાના જે પ્રકારનો ખતરો છે તે જોતા તેના પર અભ્યાસની જરુર છે.

 

(8:00 pm IST)