Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

શું ગુજરાતમાં ફરી નિયંત્રણો હળવા થશે? આજે નવી કોરોના ગાઇડલાઇન થશે જાહેર

અમદાવાદ, તા.૨૮: આજે સાંજે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્‍યક્ષતામાં કોર કમિટીની બેઠક મળશે. જેમાં કોરોના સંક્રમણ નિયંત્રણની નવી ગાઈડ લાઈન આજે જાહેર થશે. હવે રાજયમાં કોરોના સંક્રમણ ઓછું થઈ રહ્યું છે, ત્‍યારે આજની બેઠકમાં કોરોના નિયંત્રણો હળવા કરવા અંગે ચર્ચા વિચારણા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આવતીકાલે કોરોના ગાઈડલાઈનની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ગાંધીનગમાં આજે મુખ્‍યમંત્રી નિવાસસ્‍થાને ૪.૩૦ કલાકે કોર કમિટીની બેઠક મળવાની છે. આ બેઠકમાં કોરોનાની નવી SOP મુદ્દે નિર્ણય લેવાશે. આવતીકાલે કફ્‌ર્યુની મુદત પૂર્ણ થઈ રહી છે. ત્‍યારે સવાલ તે ઉદ્દભવે છે કે શું ફરી ૮ મહાનગરપાલિકા સહિત ૧૭ નગરોમાં રાત્રિ કફ્‌ર્યૂમાં કોઈ ફેરફાર થશે કે કેમ? આ સિવાય લગ્ન પ્રસંગની નક્કી કરેલી સંખ્‍યામાં વધારો કરવો કે નહીં તે બાબતે પણ નિર્ણય થઇ શકે છે.
કોરોના સંક્રમણમાં વધારો થતાં રાજયભરમાં મોટાભાગના શહેરો અને નગરોમાં રાત્રિ કરફયુનો કડકપણે પાલન કરવામાં આવી રહ્યું છે. હોટેલ્‍સ રેસ્‍ટોરન્‍ટસને હોમ ડીલીવરી સેવા ૨૪ કલાક ચાલુ રાખવાની છૂટ છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતના મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદ અને ૧૭ નગરોમાં સુરેન્‍દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર (નવસારી), નવસારી, બિલીમોરા, વ્‍યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ રાત્રિ કર્ફયુનો અમલ ચાલું રાખવો કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.

 

(3:01 pm IST)