Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

લોકો ટ્રેનમાં ઓછો કરે છે પ્રવાસ

રેલવેની પ્રવાસી ભાડાની આવકમાં રૂ.૪૦૦ કરોડનો ઘટાડો

નૂરના ભાડાંની આવકમાં રૂ.૨૮૦૦ કરોડનો વધારો નોંધાયો હતો

નવી દિલ્હી, તા.૨૮: ગયા વર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રેલવેની પ્રવાસી ભાડાંની આવકમાં વધુ રૂ. ૪૦૦ કરોડનો ઘટાડો નોંધાયો હતો, એમ રેલવેતંત્રએ કહ્યું હતું.

જોકે, બીજા ત્રિમાસિકમાં નૂરનાં ભાડામાં જોવા મળેલા રૂ. ૩૯૦૧ કરોડનાં ઘટાડાની સામે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક (ઓકટોબરથી ડિસેમ્બર) દરમિયાન નૂરના ભાડાંની આવકમાં રૂ. ૨૮૦૦ કરોડનો વધારો નોંધાયો હતો.

અગાઉ રેલવેની પ્રવાસી ભાડાંની આવકમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકની સરખામણીએ બીજા ત્રિમાસિકમાં રૂ. ૧૫૫ કરોડનો દ્યટાડો નોંધાયો હતો.

મધ્ય પ્રદેશસ્થિત એકિટવિસ્ટ ચંદ્રશેખર ગૌર દ્વારા કરવામાં આવેલી જનહિતની અરજીના જવાબમાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલથી જૂન)માં રેલવેને પ્રવાસી ભાડામાંથી રૂ. ૧૩,૩૯૮.૯૨ કરોડની આવક થઈ હતી જે બીજા ત્રિમાસિક (જુલાઈથી સપ્ટેમ્બર)માં ઘટીને રૂ. ૧૩૨૪૩.૮૧ થઈ ગઈ હતી અને ત્રીજા ત્રિમાસિક (ઓકટોબરથી ડસિેમ્બર)માં તેમાં વધુ ઘટાડો નોંધાયો હતો અને પ્રવાસી ભાડાંની આવકનો આંક ઘટીને રૂ. ૧૨,૮૪૪.૩૭ કરોડ થઈ ગયો હતો.

જોકે, નૂરનાં ભાડાંની આવકમાં રેલવેએ ત્રીજા ત્રિમાસિકમાં તંદુરસ્ત વધારો નોંધાવ્યો હતો.

પ્રથમ ત્રિમાસિકમાં રેલવેએ નૂરનાં ભાડાં થકી રૂ. ૨૯૦૬૬.૯૨ કરોડની આવક કરી હતી જે બીજા ત્રિમાસિકમાં ઘટીને રૂ. ૨૫,૨૬૫.૧૩ કરોડ થઈ ગઈ હતી અને ત્રીજા ત્રિમાસિકમાં પ્રવાસી ભાડાંની આવકનો આંક ફરી વધીને રૂ. ૨૮૦૩૨.૮૦ પર પહોંચ્યો હતો.

(10:36 am IST)