Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

હવે પેટ્રોલિયમ મંત્રાલયની હિલચાલ રોકવાની અપીલ

મોદીની દરમિયાનગીરીની માંગ કરાઈ : હાલ કંપનીના ઓઇલ એન્ડ ગેસ ફિલ્ડને વેચવા પેટ્રોલિયમ મંત્રાલયની યોજનાને રોકવા દરમિયાનગીરીની માંગણી

નવીદિલ્હી,તા. ૨૭ : ઓએનજીસી ઓફિસર્સ એસોસિએશને કંપનીના પ્રોડ્યુસિંગ ઓઇલ એન્ડ ગેસ ફિલ્ડને વેચવાની પેટ્રોલિયમ મંત્રાલયની યોજનાને રોકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરમિયાનગીરીની માંગ કરી છે. વેસ્ટર્ન ઓફશોર પન્ના-મુક્તા ફિલ્ડ ખાતે ઘટતા જતા ઉત્પાદનના દાખલા આપતા એસોસિએશન ઓફ સાઇન્ટિફિક એન્ડ ટેકનિકલ ઓફિસર્સે કહ્યું હતું કે, ૧૯૯૦માં આ ખાનગીકરણ કરાયું હતું. મોટાભાગના ઓએનજીસીના ઓઇલ એન્ડ ગેસ ફિલ્ડ ૩૦ વર્ષથી ઉત્પાદનમાં છે. ઉત્પાદન સ્વાભાવિકરીતે જ ઉંચી સપાટીથી ઘટી રહ્યું છે પરંતુ હજુ પણ મોટાપ્રમાણમાં સ્થાનિક ઉત્પાદન જારી છે. એએસટીઓના પ્રમુખ સંજય ગોયેલે ૨૩મી નવેમ્બરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ અંગે જાણ કરી હતી. પેટ્રોલિયમ મંત્રાલયે ઓએનજીસીના ૧૫ ઓઇલ અને ગેસ ફિલ્ડને ઓળખી કાઢ્યા છે. ઉત્પાદનને વધારવાના હેતુથી ખાનગી કંપનીઓને સોંપવાની હિલચાલ ચાલી રહી છે. ક્રૂડ ઓઇલ પૈકી ૭૯૧.૨ મિલિયન ટનનો જથ્થો આ ફિલ્ડ ધરાવે છે. રત્ન-આર સીરીઝ ફિલ્ડને લઇને પણ છેલ્લા બે દશકમાં વધારે પ્રગતિ થઇ નથી. એસ્સાર ઓઇલને આની જવાબદારી સોંપવામાં આવી છે. આરઆઈએલમાં આજે ઉત્પાદનને લઇને લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે. આ મામલો આગામી દિવસોમાં વધુ ગરમ બને તેવી શક્યતા છે. તેના ટાર્ગેટ ઉત્પાદન પૈકી ૧૦ ટકા ઉત્પાદન હેઠળ આરઆઈએલ કેજી-ડી૬માં ઓપરેટેડ છે. લાઇફસાયકલમાં ૧૦ વર્ષથી ઓછો સમય ગાળો ધરાવનાર કોઇપણ ફિલ્ડ માટે કોઇપણ રીતે રજૂઆત યોગ્ય નથી. કેજી-ડી૬માં ઉત્પાદન ઘટી રહ્યું છે. હવે ૫-૬ મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિદિવસ ઉત્પાદન રહ્યું છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને વડાપ્રધાન દરમિયાનગીરી કરે તે જરૂરી છે.

 

(7:46 pm IST)