Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

કોંગ્રેસની રગેરગમાં નફરત ઠાસી-ઠાસીને ભરી છે, દિલ્હીની ગાદી તેમના માટે લખેલી હોય તેવુ વર્તન કરે છેઃ ચલાલામાં નરેન્દ્રભાઈના કોંગ્રેસ પર પ્રહારો

રાજકોટ, તા. ૨૭ :. કોંગ્રેસની રગેરગમાં નફરત ઠાસી-ઠાસીને ભરી છે. તેઓને જુઠ્ઠાણા ચલાવતા આવડે છે અને દિલ્હીની ગાદી તેમના માટે લખેલ હોય તેવુ વર્તન કરે છે તેમ અમરેલી જિલ્લાના ચલાલા ખાતે જાહેરસભા સંબોધતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, એક ચાવાળો ભાજપને આટલી ઉંચાઈ સુધી લઈ જઈ શકે છે તે કોંગ્રેસના નેતાઓ જોઈ નથી શકતા અને હતાશામા આવીને જુદા જુદા પ્રકારના આક્ષેપો કરે છે.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં જણાવ્યુ કે, સામાન્ય માનવી પણ વિકાસ ઝંખે છે અને વિકાસની ભૂખ સતત જાગતી રહેવી જોઈએ. અમરેલી જિલ્લાને દરીયાઈ માર્ગથી વિકાસની દિશામાં લઈ જવાનું કાર્ય ભાજપ સરકારે કર્યુ છે. કોંગ્રેસ ધારત તો આ કામગીરી કરી શકત પરંતુ ગુજરાત પ્રત્યે કોંગ્રેસના નેતાઓને નફરત જ છે.

આ જાહેરસભામાં અમરેલીના ભાજપના ઉમેદવાર બાવકુભાઈ ઉંધાડ, ધારી બેઠકના દિલીપભાઈ સંઘાણી, લાઠી-લીલીયાના ગોપાલભાઈ વસ્તાપરા, રાજુલાના હીરાભાઈ સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:55 pm IST)