Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાના નિધન પર મુખ્યમંત્રી રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે.સામાજીક અને કલાક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન નવી પેઢીને પ્રેરણા આપશે

અમદાવાદ : ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર અને કરોડો લોકોના દિલ પર રાજ કરનારા અભિનેતા નરેશ કનોડિયાનું આજે નિધન થયું છે. નરેશ કનોડિયા કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ત્યાં જ તેમનું નિધન થયું છે.

આ સમાચાર સાંભળતા જ ગુજરાતના તેઓના કરોડો ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ મુખ્યમંત્રીવિજયભાઈ રૂપાણીએ પૂર્વ ધારા સભ્ય અને ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયાના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી સદગત ને શ્રદ્ધાંજલી પાઠવી છે.

 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપા અગ્રણીશ્રી નરેશભાઈ કનોડિયાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.આગવા અભિનય દ્વારા ગુજરાતી ચલચિત્રોને લોકપ્રિય બનાવી ગુજરાતીઓનું હ્રદય જીતનાર સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે.સામાજીક અને કલાક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન નવી પેઢીને પ્રેરણા આપશે

(10:55 am IST)