Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ત્રાસવાદી ગતિવિધિ જારી રહેશે તો બીજા વિકલ્પો પણ ખુલ્લા છે

આર્મી ચીફ બિપિન રાવતે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી : પથ્થરબાજોના હુમલામાં સેનાના એક જવાનનું મોત થયું છે છતાં પણ કેટલાક લોકો પથ્થરબાજોને આતંકવાદીઓના સાથી તરીકે ગણતા નથી : આર્મી ચીફ

નવી દિલ્હી,તા. ૨૭ : આર્મી ચીફ બિપીન રાવતે આતંકવાદને લઈને પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. આજે બિપીન રાવતે કહ્યું હતું કે જો પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદને સમર્થન આપવાનું જારી રાખે છે તો ભારતીય સેના બીજા એકશન પણ લઈ શકે છે. ઈન્ફ્રેન્ટી ડેના પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આર્મી ચીફે પત્રકારો સાથે વાતચીત કરતા આ મુજબની વાત કરી હતી. જોકે તેઓએ આ સંદર્ભમાં વધુ વાત કરી ન હતી કે તેઓ કયા પ્રકારના સંભવિત એકશનની વાત કરી રહ્યા છે. સપ્ટેમ્બર ૨૦૧૬માં પાકિસ્તાની ત્રાસવાદીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરના ઉરીમાં આર્મી કેમ્પ ઉપર કાયરતાપૂર્વકના હુમલા બાદ ભારતે અંકુશરેખા પાર કરીને સર્જિકલ સ્ટ્રાઈકર કરીને ખળભળાટ મચાવી દીધો હતો. ભારતીય સેનાએ ૨૮મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે એલઓસી પાર કરીને અનેક આતંકવાદી કેમ્પોને ફૂંકી માર્યા ગયા. જેમાં અકને ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. આર્મી ચીફે પાકિસ્તાનને જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદને પ્રોત્સાહન આપવા અને ઉશ્કેરવાથી દુર રહેવા સૂચન કર્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારત પોતાના ભૂ ભાગની સુરક્ષા કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. તેમણે કહ્યું હતું કે કોઈપણ તાકતથી અથવા તો અન્ય તરીકાથી ભારતના કોઈ હિસ્સાને આંચકી શકે તેવી સ્થિતિમાં નથી. જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી આતંકવાદને પાકિસ્તાનનું સમર્થન હોવાની વાત કરતા જનરલ રાવતે ઈશારો કર્યો હતો કે ૧૯૭૧ની કારમી હારનો બદલો લેવા માટે પડોશી દેશ દ્વારા ધીમી ગતિએ ત્રાસવાદીઓને ટેકો આપવામાં આવી રહ્યો છે. ૧૯૭૧ના જંગમાં પાકિસ્તાનની કારમી હાર થઈ હતી. ૯૦ હજારથી વધારે સૈનિકોએ ભારતીય સેનાની સામે આત્મસમર્પણ કરી દીધું હતું. એજ જંગ બાદ પૂર્વીય પાકિસ્તાન સ્વતંત્ર થયું હતું અને બાંગ્લાદેશની રચના થઈ હતી. પાકિસ્તાનનો ઈરાદો ભારતીય સેનાને વ્યસ્ત રાખવાનો રહેલો છે. રાવતે કહ્યું હતું કે કાશ્મીર ખીણમાં પથ્થરબાજીના પરિણામ સ્વરૂપે જવાન શહીદ થયા બાદ પણ કોઈ લોકો એમ કહી રહ્યા છે કે પથ્થરબાજોને ત્રાસવાદી તરીકે ગણી શકાય નહીં. પથ્થરબાજોને ત્રાસવાદીઓનો ટેકો મળી રહ્યો છે પરંતુ ઘણા લોકો હજુ પણ કહી રહ્યા છે કે પથ્થરબાજોને ત્રાસાદીઓના સમર્થક તરીકે ગણવા જોઈએ નહીં. આર્મી ચીફે કહ્યું હતું કે શહીદ થયેલા જવાન માર્ગ ઉપર બની રહેલા બોર્ડર રોડ ટીમની સુરક્ષામાં ફરજ બજાવી રહ્યા હતા. ભારતીય ટીમ પાસે બીજા વિકલ્પો પણ પાકિસ્તાન સામે હાથ ધરવાના રહેલા છે. બીઆરઓના કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ જવાન રાજેન્દ્રસિંહ ઘાયલ થયા હતા. કાફલા પર હુમલો અનંતનાગ બાયપાસ નજીક થયો હતો. કેટલાક યુવાનોએ પથ્થરમારો કર્યો હતો. ઘાયલ થયેલા જવાન રાજેન્દ્રસિંહને તરત હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પાકિસ્તાન પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સારી રીતે જાણે છે કે તેમના ઈરાદા ક્યારેય સફળ થશે નહીં. ત્રાસવાદ તેમના માટે બીજા રસ્તા તરીકે છે. વિકાસને રોકવાની તેમની ઈચ્છા છે.

(8:08 pm IST)