Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ભારતીય સેનાનું એક ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ : બે શહીદ

ભુટાનમાં ભારતીય હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું : અરુણાચલમાંથી ઉંડાણ ભરી હતી : ઉંડી તપાસ શરૂ થઇ

નવીદિલ્હી,તા.૨૭ : ભારતીય સેનાની એક ચિતા હેલિકોપ્ટર ભુટાનમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે જેમાં બંને પાયલોટોના મોત થયા છે. બંને પાયલોટો શહીદ થતાં ભારતીય સેનામાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. આ દુર્ઘટનામાં શહીદ થનાર પાયલોટમાં એક લેફ્ટી કર્નલ અધિકારી હતી. બીજા ભુટાનના પાયલોટ પણ હતા. જે ભારતીય સેનાની સાથે ટ્રેનિંગ લઇ રહ્યા હતા. આ ઘટના આજે બપોરે એક વાગ્યાની આસપાસ ઘટી હતી. એ વખતે હેલિકોપ્ટરે અચાનક સંપર્ક ગુમાવી દીધો હતો. ચિત્તા હેલિકોપ્ટરે ખિરમુ (અરુણાચલ પ્રદેશ)માંથી યોંગકુલ્લા માટે ઉંડાણ ભરી હતી. કાટમાળ અંગે હજુ સુધી માહિતી મળી શકી નથી. તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ચિત્તા હેલિકોપ્ટરને ડેથ ટ્રેક તરીકે પણ કહેવામાં આવે છે.

           ૮૦ના દશકથી ઉપયોગ કરવામાં આવી રહેલા આ હેલિકોપ્ટરને ખુબ જ આધુનિક હેલિકોપ્ટર તરીકે ગણવામાં આવે છે. જો કે, આ હેલિકોપ્ટર વધારે દુર્ઘટનાગ્રસ્ત થઇ રહ્યા છે જેથી આર્મી ઓફિસર લાંબા સમયથી હેલિકોપ્ટરને દૂર કરવાની માંગ કરી રહ્યા છે. ચિત્તા હેલિકોપ્ટર પોતાની નક્કી કરવામાં આવેલી વયથી વધારે સેવા આપી રહ્યા છે. સેનામાં આશરે ૧૭૦ ચિત્તા અને ચેતક હેલિકોપ્ટરો રહેલા છે. ૧૯૯૦માં આના પ્રોડક્શનને રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ફ્રાંસની જે સરકારી કંપનીના લાયસન્સ ઉપર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા આ હેલિકોપ્ટર બનાવવામાં આવી રહ્યા હતા તે ૨૦૦૦થી બંધ છે. તાજેતરમાં ભારતીય સેનામાં ખુબ જ આધુનિક અને શક્તિશાળી આઠ અપાચે હેલિકોપ્ટર સેનામાં સામેલ કરવામાં આવી ચુક્યા છે. આજની દુર્ઘટના બાદ ભારતીય સેનામાં પણ ખળભળાટ મચી ગયો હતો. ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે. કારણમાં તપાસ હાથ ધરવામાં આવી ચુકી છે. ભુટાનમાં ક્રેસ થયેલા હેલિકોપ્ટરના કાટમાળમાં પણ તપાસ ચાલી રહી છે.

(8:04 pm IST)